ભારતીય વાયુસેના દ્વારા તા.24 ફેબ્રુઆરીના રોજ રાજસ્થાનમાં પાકિસ્તાન સરહદથી નજીક જેસલમેર, પોખરણ ફાયરિંગ રેન્જ ખાતે ‘વાયુશક્તિ–2026’ કવાયતનું ભવ્ય રિહર્સલ કરવામાં આવ્યું હતું.આ કવાયત પૂર્ણ થયા બાદ ડ્રોન શૉ દ્વારા ભારતીય વાયુસેનાનો સ્વર્ણિમ ઇતિહાસ પણ રજૂ કરવામાં આવ્યો હતો. ભારતના લડાકુ વિમાનો, ઓપરેશન સિંદૂરમાં ઉપયોગમાં લેવાયેલ એસ 400 ડિફેન્સ સિસ્ટમ, જવાનો સહિતની બાબતોને ડ્રોન શોમાં આવરી લેવાઈ હતી. પોખરણના આકાશમાં આબેહૂબ ડિફેન્સ સિસ્ટમને ડ્રોન શો દ્વારા દર્શાવાઈ હતી.
ધડાકાભેર પડતાં બોમ્બના અવાજે સુરક્ષાની ખાતરી આપી
પોખરણની રણભૂમિમાં ગાજતાં વિમાનો અને ધડાકાભેર પડતાં બોમ્બના અવાજે દેશવાસીઓને સુરક્ષાની ખાતરી આપી હતી. વાયુશક્તિ 2026 દ્વારા ભારતીય વાયુસેનાએ સ્પષ્ટ સંદેશ આપ્યો કે દેશની આકાશસીમા અને સરહદોની સુરક્ષા માટે તે સદૈવ સતર્ક અને સજ્જ છે.આધુનિક હથિયાર પ્રણાલીઓ, તાલીમપ્રાપ્ત પાયલોટ્સ અને અદ્યતન ટેક્નોલોજી સાથે ભારતીય વાયુસેના દેશની રક્ષા માટે પ્રતિબદ્ધ છે.વાયુશક્તિ–2026ના મુખ્ય કાર્યક્રમ તા.27 ફેબ્રુઆરીના રોજ યોજાશે. જેમાં ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને રક્ષા પ્રધાન રાજનાથસિંહ ઉપસ્થિત રહી ભારતીય વાયુસેનાના શૌર્ય, સમર્પણ અને વ્યાવસાયિક કુશળતાને સન્માનિત કરશે.
આધુનિક તાકાત અને તૈયારીનો જીવંત નજારો
રણમાં ગાજતાં અને બોમ્બ વરસાવતા વિમાનોએ ભારતીય વાયુસેનાની આધુનિક તાકાત અને તૈયારીનો જીવંત નજારો રજૂ કર્યો હતો. આ કવાયતનો મુખ્ય હેતુ યુદ્ધ જેવી પરિસ્થિતિમાં ઝડપી અને સચોટ હુમલો કરવાની ક્ષમતાનું પ્રદર્શન કરવાનો હતો.વિવિધ ફાઇટર જેટ્સ, ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ અને આક્રમક હેલિકોપ્ટર દ્વારા નિર્ધારિત લક્ષ્યોને સચોટ રીતે ભેદવામાં આવ્યા હતા.કવાયત દરમિયાન ભારતીય વાયુસેનાના આધુનિક લડાકુ વિમાનો જેમ કે રફાલ, સુખોઈ( Su-30MKI), તેજસ અને મિરાજ 2000એ હવામાંથી જમીન પર પ્રિસિઝન ગાઇડેડ બોમ્બ અને મિસાઇલ દાગી દુશ્મનના બંકર, રનવે અને કમાન્ડ સેન્ટર જેવા મહત્વના સ્થળોને સચોટ નિશાન બનાવ્યા હતા.
લોજિસ્ટિક સપોર્ટનું પણ સફળ પરીક્ષણ
અપાચે અને ચિનૂક હેલિકોપ્ટર દ્વારા નીચી ઊંચાઈએ ઉડીને રૉકેટ અને ગન ફાયરિંગ, ઇજાગ્રસ્તોને એરલીફ્ટ કરવા અને વિવિધ સાધનોને દુર્ગમ યુદ્ધક્ષેત્રમાં પહોંચાડવાનો અભ્યાસ કરવામાં આવ્યો હતો.‘વાયુશક્તિ–2026’ માત્ર શક્તિપ્રદર્શન નથી, પરંતુ ટેક્નોલોજી, સંકલન અને ઝડપી પ્રતિસાદની ક્ષમતાનો સમન્વય છે. નેટવર્ક-સેન્ટ્રિક ઓપરેશન, ડ્રોન સહાયતા અને રડાર સિસ્ટમ દ્વારા લક્ષ્યોની ઓળખ કરી સચોટ પ્રહાર કરવામાં આવ્યા હતા. દિવસ અને રાત્રિ બંને પરિસ્થિતિમાં લડત આપવાની તૈયારી દર્શાવવામાં આવી હતી. આ કવાયત દ્વારા યુદ્ધ સમયની સંકલિત કામગીરી, જેમ કે એર સુપિરિયોરિટી, ગ્રાઉન્ડ સપોર્ટ અને લોજિસ્ટિક સપોર્ટનું પણ સફળ પરીક્ષણ કરવામાં આવ્યું હતું.
આ પણ વાંચોઃ Gandhinagar News: ચૈતર વસાવાના સવાલ સામે સરકારનો જવાબ, અંબાજીના પાડલીયામાં ઘર્ષણ દરમિયાન પોલીસે ફાયરીંગ કર્યું નથી