આજે રાજ્યના સૌથી મોટા શહેર અમદાવાદનો 615મો જન્મદિવસ છે. 26 ફેબ્રુઆરી 1411માં બાદશાહ અહમદશાહે માણેકબુર્જ પાસે અમદાવાદ શહેરની પહેલી ઇંટ મુકી હતી. અમદાવાદ શહેરના જન્મદિવસે દર વર્ષે માણેકબુર્જ પાસે ધજા બદલવામાં આવે છે. આ વર્ષે અમદાવાદના નગરદેવી ભદ્રકાળી માતાજીની નગરયાત્રા પણ રંગેચંગે અને ઉત્સાહથી યોજાઇ હતી.
અહમદશાહે સાબરમતી નદીના કિનારે અમદાવાદ શહેરનો પાયો નાંખ્યો હતો
સંત માણેકનાથજીના આશિર્વાદથી બાદશાહ અહમદશાહે સાબરમતી નદીના કિનારે અમદાવાદ શહેરનો પાયો નાંખ્યો હતો અને ત્યારબાદ અમદાવાદ સતત વિકસતું રહ્યું છે. આજે શહેરના સ્થાપના દિવસે દાયકાઓની પરંપરા મુજબ સંત માણેકનાથજીના વંશજો દ્વારા શાસ્ત્રોક્ત વિધીથી પૂજા અર્ચના કરીને ધજા બદલવામાં આવી હતી. અમદાવાદ શહેરની સ્થાપના માટે બાદશાહે આ જ સ્થળ પર પહેલી ઇંટ મુકી હતી.
સંતના માર્ગદર્શન મુજબ બાદશાહે કિલ્લાનું બાંધકામ કરાવ્યું હતું
સંત માણેકનાથજીનો પરિવાર છેલ્લા 615 વર્ષથી આ પરંપરાને નિભાવી રહ્યો છે. તેમના વશંજો દ્વારા આ વારસાને આગળ ધપાવામાં આવી રહ્યો છે. લોકવાયકા પ્રમાણે બાદશાહ અહમદશાહે જ્યારે અમદાવાદ માટે કિલ્લો બનાવાનો શરુ કર્યો હતો ત્યારે દિવસે બનાવાયેલી દિવાલ રાત્રે પડી જતી હતી. બાદશાહે આ મામલાની તપાસ કરી તો તેમને જાણવા મળ્યું કે સંત માણેકનાથજી જ્યારે સાદડી ગૂંથતાં ત્યારે દિવાલ ઉભી થતી હતી અને સાદડીનો દોરો ખેંચે તો દિવાલ પડી જતી હતી. જેથી બાદશાહ સંતના ચરણમાં પડી ગયા હતા અને સંત માણેકનાથજીએ બાદશાહને માર્ગદર્શન આપી ભૂમિ પૂજનનો સાચો સમય અને ક્યાં ભૂમિ પૂજન કરવું તે સુચવ્યું હતું જેથી સંતના માર્ગદર્શન મુજબ બાદશાહે કિલ્લાનું બાંધકામ કરાવ્યું હતું અને તેથી જ સંતના સન્માનમાં કિલ્લાના પહેલા બુર્જનું નામ માણેક બુર્જ રાખવામાં આવ્યું હતું
માણેક ચોકનો ઇતિહાસ
તમને જાણીને નવાઇ લાગશે કે આજે માણેક ચોક નામનો જે વિસ્તાર પ્રખ્યાત છે ત્યાં જ સંત માણેકનાથજી રહેતા હતા અને તેને આજે પણ આધુનિક જમાનામાં લોકો યાદ રાખે છે. સંત માણેકનાથજીએ જીવતે જીવસમાધી લીધી હોવાની પણ લોકવાયકા છે. માણેકચોકમાં જુનુ શેરબજાર આવેલું છે અને સૌથી મોટુ સોની બજાર પણ અહી વિકસેલું છે.
https://www.instagram.com/reel/DVNKxTdDxle/?utm_source=ig_web_copy_link
અમદાવાદને ભારતનું માંન્ચેસ્ટર પણ કહેવાતું
ત્યારબાદ તો અમદાવાદ સતત વિકસતું રહ્યું છે. અસંખ્ય મિલોના કારણે એક જમાનામાં અમદાવાદને ભારતનું માંન્ચેસ્ટર પણ કહેવાતું હતું. ત્યારબાદ પણ અમદાવાદની આસપાસ અનેક ઉદ્યોગો સ્થાપિત થયા છે અને આજે તો અનેક નામી અનામી કંપનીએ મલ્ટીનેશનલ કંપનીઓ અમદાવાદમાં કામ કરી રહી છે.
ગુજરાતમાં અમદાવાદ વેપારનું સૌથી મોટુ હબ
જુનુ અમદાવાદ શહેર અને નવું અમદાવાદ શહેર હજું પણ પોતાના વારસાને આગળ ધપાવી રહ્યું છે. અમદાવાદનો ઇતિહાસ જેમ ભવ્ય અને ગૌરવશાળી છે તેમ વર્તમાન પણ ગૌરવશાળી છે. આધુનિક્તાના વાતાવરણના રંગે અમદાવાદ રંગાઇ ગયેલુ છે. અમદાવાદની વસતી વધતી રહી છે કારણ કે આજે ગુજરાતમાં અમદાવાદ વેપારનું સૌથી મોટુ હબ બન્યું છે.
અમદાવાદે વિવિધ ક્ષેત્રોમાં દેશને ગૌરવ અપાવનારા અનેક મહાનુભાવો આપ્યા
અમદાવાદે વિવિધ ક્ષેત્રોમાં દેશને ગૌરવ અપાવનારા અનેક મહાનુભાવો આપ્યા છે અને વર્તમાનમાં પણ અનેક દિગ્ગજો ગુજરાત અને દેશને પહેલી હરોળમાં મુકવાનું કામ કરી રહ્યા છે. અમદાવાદ તમામ ક્ષેત્રોમાં વિકસેલું છે અને વેપાર, ધંધા, ઉદ્યોગો, સાહિત્ય, કલા, નાટકો, ફિલ્મો , ખાણીપીણી સહિતના તમામ ક્ષેત્રોમાં અમદાવાદ અવ્વલ નંબર ધરાવે છે.
આ પણ વાંચો---- Gandhinagar : જિલ્લાઓમાં નેતાજીઓના પ્રોટોકોલ નથી જળવાતા, મંત્રીઓને જિલ્લા પ્રવાસમાં ગરિમાપૂર્ણ આવકાર આપો, સરકારનો પરિપત્ર