અમદાવાદની સેવન્થ ડે સ્કૂલને સરકાર હસ્તક લેવાના મુદ્દે ગુજરાત હાઇકોર્ટમાં થયેલી સુનાવણી દરમિયાન અદાલતે શાળા તંત્રનો આકરો ઉધડો લીધો હતો. હાઇકોર્ટે ગંભીર નોંધ લેતા જણાવ્યું હતું કે, આ શાળાએ શિક્ષણને બદલે પોતાને માત્ર 'પૈસા છાપવાનું મશીન' બનાવી દીધું છે. જ્યારે શાળાએ રજૂઆત કરી કે સરકાર હસ્તક લેવાતા એડમિશન રોકાયા છે, ત્યારે કોર્ટે ધારદાર સવાલ કર્યો હતો કે, જે માતા-પિતાએ શાળાની બેદરકારીને કારણે પોતાનું સંતાન ગુમાવ્યું છે, શું તમે તેમને તેમનું બાળક પાછું આપી શકશો? અદાલતે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે તમે આર્થિક વળતર આપી શકો છો, પણ ગુમાવેલું જીવન નહીં.
રોકડમાં ફી અને સુરક્ષામાં શૂન્ય
બીજી તરફ, સરકારે હાઇકોર્ટમાં પક્ષ રાખતા જણાવ્યું હતું કે, શાળા મેનેજમેન્ટની ભયંકર બેદરકારીને કારણે જ તેને સરકાર હસ્તક લેવાની ફરજ પડી છે. વારંવાર DEO દ્વારા નોટિસ આપવા છતાં શાળાએ કોઈ સંતોષકારક જવાબ આપ્યો નહોતો. એટલું જ નહીં, ફી રોકડમાં સ્વીકારવા બાબતે પણ શાળા કોઈ પૂરાવા રજૂ કરી શકી નથી. હાઇકોર્ટે શાળાના પ્રિન્સિપાલ બદલવાની દલીલને પણ ફગાવી દેતા મેનેજમેન્ટની આકરી ઝાટકણી કાઢી હતી અને વાલીઓ તેમજ બાળકોની સુરક્ષા અંગે ચિંતા વ્યક્ત કરી હતી.













