ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે યુદ્ધની સ્થિતિ ચાલી રહી છે. આ દરમિયાન અમેરિકા અને ઈઝરાયેલ દ્વારા કરવામાં આવેલા હુમલામાં ઈરાનના સુપ્રીમ લીડર આયાતુલ્લાહ અલી ખામેનેઈનું મોત નિપજ્યું છે. જેના કારણે યુદ્ધની સ્થિતિ વણસી રહી છે. ત્યારે દુબઈમાં વારંવાર હુમલા થઈ રહ્યા હોવાથી ત્યાંની એર સ્પેસ બંધ કરવામાં આવી છે. જેથી અનેક ભારતીયો સહિત ગુજરાતીઓ દુબઈમાં ફસાયા હોવાનું જાણવા મળ્યું છે. ગુજરાતના 20 જેટલા પ્રવાસીઓ દુબઈની હોટેલમાં કેદ થવા મજબૂર બન્યાં છે. ગઈકાલે ફ્લાઈટની ટિકિટ હતી પરંતું વિમાન સેવા બંધ હોવાથી તેઓ દુબઈમાં ફસાઈ ગયા છે. લોકોએ સરકાર પાસે પરત આવવા માટે માગ કરી હતી.
વિમાન સેવા બંધ થવાથી તેઓ દુબઈમાં અટવાયા
મહેસાણા જિલ્લાના ત્રણ વેપારીઓ વ્યાપાર અર્થે દુબઈ ગયા હતાં. વિમાન સેવા બંધ થવાથી તેઓ દુબઈમાં જ અટવાઈ ગયા હતાં. 25 ફેબ્રુઆરીએ તેઓ દુબઈ ગયા હતાં. વતન વાપસી માટે સ્થાનિક સાંસદ સહિત સરકારને તેમણે રજૂઆત કરી હતી. આ ત્રણેય વેપારીઓએ વીડિયો બનાવીને સરકાર પાસે મદદ માગી હતી. બીજી તરફ પાલનપુરના 20 જેટલા યુવકો દુબઈમાં ફસાયા છે. તેઓ સુરક્ષિત હોવાનો દાવો કરી રહ્યા છે. તેઓ દર કલાકે વીડિયો કોલથી માહિતી લઈ રહ્યાં છે. આ યુવકોનું કહેવું છે કે, દુબઈમાં સ્થિતિ નિયંત્રણમાં છે. હવાઈ હુમલાના કારણે તેમના પરિવારજનો ચિંતામાં છે.













