ગરવા ગિરનારની ગોદમાં યોજાનારા પવિત્ર મહાશિવરાત્રિના મેળાને હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે એસટી નિગમ દ્વારા શ્રદ્ધાળુઓની સુવિધા માટે ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. વર્ષ 2026માં 11 ફેબ્રુઆરીથી 15 ફેબ્રુઆરી દરમિયાન યોજાનારા આ મિનિ કુંભ મેળામાં લાખોની જનમેદનીને ધ્યાને રાખીને નિગમે એક્સ્ટ્રા બસો અને વિશેષ ટ્રીપ્સની જાહેરાત કરી છે.
તળેટી સુધી પહોંચવું બનશે આસાન
મેળા દરમિયાન જૂનાગઢ બસ સ્ટેશનથી ગિરનાર તળેટી સુધી જવા માટે શ્રદ્ધાળુઓને પરિવહનની કોઈ મુશ્કેલી ન પડે તે માટે મિનિ બસોનો કાફલો તૈનાત કરવામાં આવ્યો છે.જૂનાગઢ વિભાગની 30 અને અન્ય વિભાગોની 50 મળીને કુલ 80 મિનિ બસો સેવામાં રહેશે. શ્રદ્ધાળુઓ માટે અંદાજે 7,800 ટ્રીપ્સનું આયોજન કરવામાં આવ્યું છે. આ વર્ષે આશરે 3.70 લાખથી વધુ મુસાફરો એસટી બસ સેવાનો લાભ લે તેવી શક્યતા છે.










