અમદાવાદના નરોડા વિસ્તારમાં આવેલી સબ રજીસ્ટ્રાર-6 ની કચેરીમાં લાંબા સમયથી ચાલતા ભ્રષ્ટાચારના નેટવર્કનો એસીબીએ પર્દાફાશ કર્યો છે. દસ્તાવેજના કામ પતાવવા માટે લાખો રૂપિયાની માંગણી કરનારા સરકારી કર્મચારીઓ અને તેમની સાથે સંકળાયેલા ખાનગી વ્યક્તિઓને એસીબીએ ટ્રેપ ગોઠવીને ઝડપી લીધા છે.
દસ્તાવેજ માટે માંગી હતી મોટી રકમ
મળતી માહિતી મુજબ, નરોડા-6 ના સબ રજીસ્ટ્રાર આકાશ અમૃતભાઈ દેસાઈ અને તેમના સ્ટાફ દ્વારા એક જમીન દસ્તાવેજના કામ માટે કુલ રૂ. 2.50 લાખની લાંચ માંગવામાં આવી હતી. આ અગાઉ પણ ટોકન અનલોક કરવાના બહાને તેઓએ રૂ. 35 હજારની રકમ વસૂલી લીધી હતી. આ બાબતે જાગૃત નાગરિકે એસીબીનો સંપર્ક કરતા છટકું ગોઠવવામાં આવ્યું હતું.
