ઉત્તરાયણનો પર્વ આનંદનો તહેવાર છે, પરંતુ વાહનચાલકો માટે પતંગની ઘાતક દોરી જીવલેણ સાબિત થતી હોય છે. ખાસ કરીને શહેરના ઓવરબ્રિજ પરથી પસાર થતા વાહનચાલકો ગળામાં દોરી આવવાને કારણે ગંભીર રીતે ઘવાતા હોય છે અથવા જીવ ગુમાવતા હોય છે. આ જોખમને ટાળવા માટે અમદાવાદના મનોજ ભાવસાર છેલ્લા 19 વર્ષથી એક અનોખી સેવાકીય ઝુંબેશ ચલાવી રહ્યા છે.
ઓવરબ્રિજ પર સુરક્ષા કવચ
મનોજ ભાવસાર દ્વારા દર વર્ષે ઉત્તરાયણ પૂર્વે અમદાવાદ શહેરના તમામ મહત્વના ઓવરબ્રિજ પર લોખંડના પાતળા તાર બાંધવાની કામગીરી કરવામાં આવે છે. આ કામગીરી પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય બ્રિજ પરથી પસાર થતા ટુ-વ્હીલર ચાલકોને પતંગની દોરીથી બચાવવાનો છે. જ્યારે પતંગ કપાઈને બ્રિજ પર આવે છે, ત્યારે આ ઊંચાઈ પર બાંધેલા તાર દોરીને રોકી લે છે, જેથી તે સીધી વાહનચાલકના ગળા સુધી પહોંચી શકતી નથી.










