વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમના માતૃભૂમિ ગુજરાતના ત્રણ દિવસના વ્યસ્ત પ્રવાસને પૂર્ણ કરી આજે અમદાવાદ એરપોર્ટ ખાતેથી નવી દિલ્હી જવા રવાના થયા હતા. આ પ્રવાસ દરમિયાન અનેક વિકાસકાર્યો અને કાર્યક્રમોમાં સહભાગી થયા બાદ વડાપ્રધાનને એરપોર્ટ પર રાજ્યના ઉચ્ચ મહાનુભાવો દ્વારા ભાવસભર વિદાય આપવામાં આવી હતી.

મહાનુભાવોની ઉપસ્થિતિમાં વિદાય સમારોહ

અમદાવાદ એરપોર્ટ ખાતે વડાપ્રધાનને વિદાય આપવા માટે રાજ્યનું સમગ્ર વહીવટી અને રાજકીય તંત્ર ઉપસ્થિત રહ્યું હતું. વડાપ્રધાનને વિદાય આપવા પહોંચેલા મુખ્ય મહાનુભાવોમાં ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી આ ઉપરાંત, અમદાવાદના મેયર પ્રતિભાબહેન જૈન અને રાજકીય અગ્રણી જગદીશ વિશ્વકર્માએ પણ વડાપ્રધાનનું અભિવાદન કરી તેમને દિલ્હી જવા માટે રવાના કર્યા હતા.

વહીવટી અને સુરક્ષા અધિકારીઓ દ્વારા પ્રોટોકોલ

વિદાય પ્રસંગે રાજ્યના ઉચ્ચ સનદી અધિકારીઓ અને પોલીસ તંત્રના વડાઓ પણ હાજર રહ્યા હતા. જેમાં મુખ્ય સચિવ એમ.કે. દાસ, અધિક મુખ્ય સચિવ ડૉ. અંજુ શર્મા, રાજ્યના ઇન્ચાર્જ ડીજીપી કે.એલ.એન. રાવ, અમદાવાદ પોલીસ કમિશનર જી.એસ. મલિક અને જિલ્લા કલેક્ટર સુજીત કુમારે વડાપ્રધાન સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી. એરફોર્સના એર માર્શલ તેજેન્દ્ર સિંઘ અને ચીફ પ્રોટોકોલ ઓફિસર જલવંત ત્રિવેદીએ પણ પ્રોટોકોલ મુજબ વિદાય આપી હતી.

વિકાસકાર્યોથી લથબથ રહ્યો પ્રવાસ

પોતાના આ ત્રણ દિવસના પ્રવાસ દરમિયાન વડાપ્રધાને ગુજરાતમાં અનેક પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું. ગુજરાતના જનતા સાથેના સંવાદ અને ભાજપના સંગઠન સાથેની બેઠકો બાદ તેઓ નવી ઉર્જા સાથે પરત ફર્યા છે. એરપોર્ટ પર હાજર તમામ પદાધિકારીઓએ હર્ષ અને ગૌરવ સાથે વડાપ્રધાનને આવજો કહ્યું હતું.
  • Follow us on: