માનવતાને શરમાવે તેવી એક હૃદયદ્રાવક ઘટના સુરતના સરથાણા વિસ્તારમાં સામે આવી છે. જેમાં એક 57 વર્ષના આધેડે માત્ર 6 વર્ષની માસૂમ બાળકીને પોતાની હવસનો શિકાર બનાવી છે. વિશ્વાસના જોરે બાળકીને દુકાને બેસાડીને ગયેલા દાદાની ગેરહાજરીનો લાભ ઉઠાવી નરાધમે આ અધમ કૃત્ય આચર્યું હતું. આ ઘટનાને પગલે સમગ્ર શહેરમાં રોષની લાગણી ફેલાઈ છે.


સરથાણામાં બાળકી પર દુષ્કર્મ

ઘટનાની વિગતો મુજબ, ભોગ બનનાર બાળકીના દાદા પોતાના પૌત્રને ઘરે મૂકવા જઈ રહ્યા હતા. તે સમયે માર્ગમાં આરોપી વિનોદ અણઘણની દુકાન આવતી હોય, દાદાએ વિશ્વાસ રાખીને પોતાની 6 વર્ષની પૌત્રીને થોડીવાર માટે વિનોદની દુકાને બેસાડી હતી. નરાધમ વિનોદે દાદાને પોતાની વાતોમાં ભોળવી વિશ્વાસ જીતી લીધો હતો, પરંતુ દાદાના ગયા બાદ તેની દાનત બગડી હતી.

દુકાનમાં જ માસૂમ પર ગુજાર્યો અત્યાચાર

દાદા જેવો પૌત્રને મૂકવા માટે ઘરે ગયા, તેની ગણતરીની મિનિટોમાં 57 વર્ષીય વિનોદ અણઘણે પોતાની હવસ સંતોષવા માટે 6 વર્ષની માસૂમ બાળકીને નિશાન બનાવી. પોતાની જ દુકાનમાં આ નરાધમે બાળકી પર દુષ્કર્મ આચર્યું હતું. દાદા જ્યારે પરત આવ્યા ત્યારે તેમને અંદાજ પણ નહોતો કે જે વ્યક્તિ પર તેમણે વિશ્વાસ મૂક્યો હતો, તેણે જ તેમની પૌત્રીની જિંદગી બરબાદ કરી નાખી છે.

બાળકીએ દાદાને આપવીતી જણાવતા પર્દાફાશ થયો

ઘરે પહોંચ્યા બાદ માસૂમ બાળકીએ હિંમત ભેગી કરી દાદા અને પરિવારના સભ્યોને નરાધમ વિનોદે આચરેલા કૃત્યની સઘળી હકીકત જણાવી હતી. બાળકીની વાત સાંભળી પરિવારના પગ તળેથી જમીન ખસી ગઈ હતી. પરિવારે વિલંબ કર્યા વગર તુરંત સરથાણા પોલીસ મથકનો સંપર્ક કર્યો હતો. સરથાણા પોલીસે ઘટનાની ગંભીરતાને સમજી તુરંત ગુનો દાખલ કર્યો હતો. પોલીસે પોક્સો (POCSO) અને બળાત્કારની કલમો હેઠળ ગુનો નોંધીને 57 વર્ષીય નરાધમ વિનોદ અણઘણની ધરપકડ કરી લીધી છે. હાલ પોલીસ આ મામલે વધુ પુરાવા એકત્રિત કરી કાયદાકીય કાર્યવાહી હાથ ધરી રહી છે.

આ પણ વાંચો: ડ્રગ્સ કેસમાં મોટો ઘટસ્ફોટ, ઈશા અનઘણના મોબાઈલથી ખુલશે લંડન કનેક્શન, જનક જાગાણી સાથેની ચેટમાં અનેક રહસ્યો

  • Follow us on: