અમદાવાદ શહેરમાં ખાણીપીણીની વસ્તુઓમાં ભેળસેળ કરનારા તત્વો સામે તંત્રએ લાલ આંખ કરી છે. અમદાવાદમાં ગાયના શુદ્ધ ઘીના નામે નકલી ઘી બનાવવાનું કૌભાંડ ઝડપાયું છે. પોલીસે બાતમીના આધારે દરોડા પાડીને અંદાજે 400 કિલો નકલી ઘીનો જથ્થો પકડી પાડ્યો છે. આ કામગીરી દરમિયાન અંદાજે 1 લાખ 60 હજાર રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.
પામોલિન તેલ અને ફેટનું ખતરનાક મિશ્રણ
તપાસમાં બહાર આવેલી વિગતો મુજબ, ભેળસેળિયા તત્વો લોકોના આરોગ્ય સાથે ગંભીર ચેડાં કરી રહ્યા હતા. આ નકલી ઘી બનાવવા માટે કોઈ પશુના દૂધનો નહીં, પરંતુ પામોલિન તેલ અને વેજિટેબલ ફેટનો ઉપયોગ કરવામાં આવતો હતો. આ મિશ્રણમાં ચોક્કસ પ્રકારના એસેન્સ અને કલર ભેળવીને તેને આબેહૂબ ગાયના શુદ્ધ ઘી જેવું સ્વરૂપ આપવામાં આવતું હતું, જેને બજારમાં ઊંચી કિંમતે વેચવામાં આવતું હતું.













