અમદાવાદના મોટેરા વિસ્તારમાં આવેલા આસારામ આશ્રમ દ્વારા સરકારી જમીન પર કરવામાં આવેલા દબાણોને હટાવવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશન એક્શન મોડમાં આવ્યું છે. તપાસમાં બહાર આવ્યું છે કે આશ્રમ દ્વારા સરકારી જમીન પર કોઈ પણ પ્રકારના પ્લાન પાસ કરાવ્યા વિના 32 જેટલા વિવિધ એકમો ખડકી દેવામાં આવ્યા છે. આ તમામ બાંધકામો સંપૂર્ણપણે ગેરકાયદે હોવાનું સાબિત થતા તંત્રએ તેને ડિમોલિશ કરવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. મહત્વની વાત એ છે કે, આ જમીનને સરદાર પટેલ સ્પોર્ટ્સ એન્ક્લેવના પ્રોજેક્ટમાં સમાવવામાં આવનાર છે, જ્યાં આંતરરાષ્ટ્રીય કક્ષાનું અત્યાધુનિક સ્પોર્ટ્સ સંકુલ ઊભું કરવાનું આયોજન છે.
સ્પોર્ટ્સ સંકુલ માટે ખાલી થશે જમીન
આ મામલે તંત્ર દ્વારા છ મહિના અગાઉ જ આશ્રમને નોટિસ ફટકારવામાં આવી હતી. આ નોટિસના જવાબમાં આશ્રમ દ્વારા ચાર મહિના પહેલા ગેરકાયદે બાંધકામોને કાયદેસર કરાવવા માટે ઇમ્પેક્ટ ફીની અરજી કરવામાં આવી હતી, જેને સત્તાધિશોએ રિજેક્ટ કરી દીધી છે. હાલમાં આશ્રમ દ્વારા આ મામલે ગાંધીનગર શહેરી વિકાસ સત્તામંડળ (GUDA) માં અરજી કરવામાં આવી છે. મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓના જણાવ્યા મુજબ, એકવાર ગુડા (GUDA) તરફથી અંતિમ નિર્ણય આવી જાય, ત્યારબાદ તમામ 32 ગેરકાયદે એકમોને તોડી પાડવા માટે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે.













