અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા શહેરમાં ગેરકાયદે બાંધકામો અને દબાણો સામે ઝુંબેશ તેજ કરવામાં આવી છે. આ કડીમાં આજે શહેરના દક્ષિણ ઝોનમાં આવતા બહેરામપુરા વિસ્તારમાં મનપાના એસ્ટેટ વિભાગ દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. બહેરામપુરાના ફૈઝલનગર પાસે કુખ્યાત આરોપી રફીક વેપારી દ્વારા બનાવવામાં આવેલા ત્રણ માળના ગેરકાયદે મકાન પર તંત્રએ ડિમોલિશનની કામગીરી કરી હતી.


મંજૂરી વગર મકાન ઉભું કરી દેવાયું

મળતી માહિતી અનુસાર, રફીક વેપારીએ કોઈપણ પ્રકારની મંજૂરી વગર ફૈઝલનગર વિસ્તારમાં આ રહેણાંક મકાન ઊભું કરી દીધું હતું. આ બાબતે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અગાઉ પણ આરોપીને અનેકવાર નોટિસ પાઠવવામાં આવી હતી અને ગેરકાયદે બાંધકામ દૂર કરવા માટે તાકીદ કરવામાં આવી હતી. તેમ છતાં, આરોપી દ્વારા મનપાની નોટિસને અવગણીને બાંધકામ યથાવત રાખવામાં આવ્યું હતું.

આજે સવારથી જ ડિમોલિશનની કાર્યવાહી શરૂ કરી

આખરે, મનપાના અધિકારીઓએ પોલીસ કાફલાને સાથે રાખીને આજે સવારથી જ ડિમોલિશનની કાર્યવાહી આરંભી હતી. મ્યુનિસિપલ કોર્પોરેશનના બુલડોઝરોએ ગણતરીના કલાકોમાં જ આ ત્રણ માળનું મકાન જમીનદોસ્ત કરી નાખ્યું હતું. આ કાર્યવાહી દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો હતો.

તંત્રની કડક કાર્યવાહી

તંત્રની આ કડક કાર્યવાહીથી ગેરકાયદે બાંધકામ કરનારા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે. મનપાના સૂત્રોના જણાવ્યા અનુસાર, આગામી દિવસોમાં પણ શહેરના અન્ય વિસ્તારોમાં આવા ગેરકાયદે બાંધકામો અને અસામાજિક તત્વો દ્વારા કરવામાં આવેલા દબાણો સામે આકરા પગલાં લેવાનું ચાલુ રહેશે.

આ પણ વાંચોઃ Kutch News : અંજાર પોલીસને મળી સફળતા, વકીલના ઘરે ચોરી કરેલા બે આરોપીઓને ઝડપી પાડ્યા


  • Follow us on: