હવામાન વિભાગની આગાહી પ્રમાણે ગુજરાતમાં ગરમીમાં આજથી આંશિક રાહત મળશે. ગરમીમાં એકથી બે ડિગ્રીનો ઘટાડો થશે. પવનોની દિશા બદલાતા રાહત અનુભવાશે. સૌરાષ્ટ્ર-કચ્છમાં ગરમીનું મોજુ ફરી વળ્યું છે. આવતીકાલથી ફરી તાપમાનમાં બે ડિગ્રીના ઘટાડો થવાની શક્યતા વચ્ચે આકરી ગરમીમાં લોકોને રાહત મળે તેવા અણસાર મળી રહ્યા છે. અમરેલી, સુરેન્દ્રનગર, રાજકોટમાં ગરમીનો પારો 42થી 43 ડિગ્રીને આંબી જતા લોકો કાળઝાળ ગરમીથી ત્રાહિમામ પોકારી ગયા હતા.

સર્વાધિક તાપમાન સુરેન્દ્રનગરમાં 43.3 ડિગ્રી નોંધાયું

સૌરાષ્ટ્ર-કચ્છમાં ગઈકાલે સર્વાધિક તાપમાન સુરેન્દ્રનગરમાં 43.3 ડિગ્રી નોંધાયું હતું. જ્યારે અમરેલીમાં પણ ગરમીનો પારો 42.9 ડિગ્રીને આંબી જતા શહેરીજનો પરસેવે રેબઝેબ થઈ ગયા હતા. જ્યારે જુનાગઢમાં4.2, ભુજમાં 40.4, ભાવનગરમાં 40.3, કંડલામાં 36.7, દીવમાં 36.0, પોરબંદરમાં 35.7, નલીયામાં 35.0, ઓખામાં 34.8, દ્વારકામાં 32.6 અને વેરાવળમાં 31.9 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. રાજકોટ શહેરમાં ફરી ગરમીનું મોજુ શરૂ થયું હોય તેમ ગઈકાલે પારો 43 ડિગ્રીને પાર થયા બાદ એક ડિગ્રીનો ઘટાડો થયો હતો. છતાં પારો 42 ડિગ્રીએ પહોંચી ગયો હતો. અને બપોરે 22 કિલોમીટરની ઝડપે ગરમાગરમ પવન ફૂંકાયો હતો.

સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતાં ચોમાસા માટે સ્થિતિ સાનુકૂળ

આકરા તાપ અને લુંના કારણે લોકો બપોરના સમયે ઘરમાં પુરાયા હતા. બજારો અને રાજમાર્ગો સુમસાન થઈ ગયા હતા.મોડી સાંજ સુધી ગરમ પવનના કારણે લોકો અકળાયા હતા. બીજી તરફ હવામાન વિભાગે ચોમાસાને લઈને ખૂબ જ સારા અને રાહતના સમાચાર આપ્યા છે. વાતાવરણમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થવાને કારણે ચોમાસું દેશમાં ક્રમશઃ આગળ વધી રહ્યું છે. હાલમાં ચોમાસાના આગમન માટેની તમામ સ્થિતિઓ એકદમ સાનુકૂળ બની રહી છે. આ બદલાવને કારણે આગામી દિવસોમાં પ્રિ-મોન્સૂન એક્ટિવિટી પણ જોર પકડે તેવી પૂરેપૂરી સંભાવનાઓ સેવાઈ રહી છે.

આ પણ વાંચોઃ Gujarat News : સબસિડી બંધ અને ચાર્જિંગના અભાવે EV માર્કેટનું RTOમાં રજિસ્ટ્રેશન ઘટયું