અમદાવાદ શહેરના પશ્ચિમ ઝોનના સેટેલાઇટ જેવા હાઇપ્રોફાઇલ અને વ્યસ્ત વિસ્તારમાં આવેલી 'રત્નાકર-૩' નામની બિલ્ડિંગમાં આજે અચાનક આગ લાગવાની ઘટના સામે આવી છે. બિલ્ડિંગના એક ભાગમાંથી અચાનક ધુમાડાના કાળા ગોટેગોટા આકાશમાં ઉડતા દેખાતા આસપાસના રહીશો અને માર્ગ પરથી પસાર થતા વાહનચાલકોમાં ભારે ગભરાટ ફેલાઈ ગયો હતો. સ્થાનિક લોકોએ તાત્કાલિક કંટ્રોલ રૂમ દ્વારા અમદાવાદ ફાયર બ્રિગેડને આ અંગે માહિતગાર કર્યા હતા.

6 ગાડીઓ સાથે ફાયર ફાઇટરોએ મોરચો સંભાળ્યો

આગ હાઇરાઇઝ બિલ્ડિંગમાં હોવાના કારણે ફાયર વિભાગ દ્વારા તાત્કાલિક મેજર કોલ ગણીને એક પછી એક એમ કુલ 6 ફાયર ફાઇટરની ગાડીઓ અને હાઇડ્રોલિક પ્લેટફોર્મ સહિતનો સ્ટાફ ઘટનાસ્થળે રવાના કરવામાં આવ્યો હતો. ફાયરના જવાનોએ બિલ્ડિંગમાં પહોંચીને સૌથી પહેલાં અંદર ફસાયેલા લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવાની કામગીરી કરી હતી અને સાથે જ ચારેય બાજુથી પાણીનો મારો ચલાવીને આગને વધુ ફેલાતી અટકાવી દીધી હતી. ભારે જહેમત બાદ આગ પર સંપૂર્ણ કાબૂ મેળવી લેવાયો હતો.

જાનહાનિ ટળતાં તંત્રએ લીધો રાહતનો શ્વાસ

આ ભયાનક ઘટનામાં સૌથી સરાહનીય અને રાહતની બાબત એ રહી કે સમયસર ફાયરની ટીમો આવી પહોંચતા આખી બિલ્ડિંગમાં આગ ફેલાઈ નહોતી, જેના કારણે સદનસીબે કોઈ વ્યક્તિ ફસાયું નથી કે કોઈ જાનહાનિ થઈ નથી. જોકે, આ શોર્ટ સર્કિટના કારણે આગ લાગી છે કે અન્ય કોઈ ટેકનિકલ ખામી સર્જાઈ હતી, તે ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી. ફાયર વિભાગ અને સ્થાનિક પોલીસ દ્વારા બિલ્ડિંગમાં ફાયર સેફ્ટીના સાધનો ચાલુ સ્થિતિમાં હતા કે નહીં તે અંગે આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.

આ પણ વાંચો: Valsad: ઉમરગામ પંથકમાં કમોસમી વરસાદ, ગરમીથી રાહત પણ કેરી પકવતા ખેડૂતો મુશ્કેલીમાં