દક્ષિણ ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી સાયક્લોનિક સર્ક્યુલેશનની આગાહીની સીધી અસર વલસાડ જિલ્લામાં જોવા મળી છે. છેલ્લા કેટલાક દિવસોથી ૪૦ ડિગ્રીની આસપાસ નોંધાતા તાપમાન અને દરિયાઈ ભેજના કારણે વલસાડવાસીઓ અસહ્ય બફારાથી તોબા પોકારી ઉઠ્યા હતા. આ દરમિયાન આજે વહેલી સવારે અચાનક વાતાવરણનો મિજાજ બદલાયો હતો અને આકાશ કાળા વાદળોથી ઘેરાઈ ગયું હતું. જિલ્લાના ઉમરગામ શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં સવાર-સવારમાં જ ધીમી ધારે હળવો વરસાદ તૂટી પડ્યો હતો.

જનતા ખુશ, પરંતુ ધરતીપુત્ર ઉદાસ

વહેલી સવારે વરસેલા આ કમોસમી વરસાદના કારણે વાતાવરણમાં એકાએક ગુલાબી ઠંડક પ્રસરી ગઈ હતી. ગરમીથી પરેશાન સ્થાનિક લોકો અને પ્રવાસીઓએ આ ખુશનુમા વાતાવરણનો આનંદ લીધો હતો અને ગરમીમાંથી મોટી રાહત અનુભવી હતી. જોકે, આ આહલાદક વાતાવરણ વલસાડ જિલ્લાના મુખ્ય ગણાતા બાગાયતી પાકના ખેડૂતો માટે ચિંતાની આફત બનીને આવ્યું છે.

 કેરીના પાકની ગુણવત્તા બગડી જશે

વલસાડ અને ઉમરગામ પંથકમાં મોટા પાયે આફુસ (Alphonso) અને કેસર કેરીના બગીચાઓ આવેલા છે. હાલ કેરી ઉતારવાની અને માર્કેટમાં મોકલવાની સિઝન ચાલી રહી છે. આવા સમયે જો આકાશમાંથી પાણી પડે તો કેરીના પાકમાં મધિયો રોગ આવવાની, કેરી કાળી પડી જવાની અને પવનના કારણે તૈયાર પાક આંબા પરથી ખરી પડવાની પૂરેપૂરી શક્યતા રહેલી છે. કમોસમી વરસાદના કારણે કેરીના પાકની ગુણવત્તા બગડી જશે તો બજારમાં યોગ્ય ભાવ નહીં મળે, તેવી ભીતિથી ખેડૂતો ભારે આર્થિક નુકસાનના ડરથી ચિંતિત બન્યા છે.

આ પણ વાંચો: Gir Somnath: તાલાલા APMCમાં કેસર કેરીનો મબલખ ભરાવો, પણ ડીઝલની અછતે બગાડી રમત