શહેરમાં શુદ્ધ મસાલાના નામે અખાદ્ય વસ્તુઓ વેચતા તત્વો સામે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) એ મોટી કાર્યવાહી હાથ ધરી છે. માધુપુરા માર્કેટમાં આવેલા 'અવિનાશ મસાલા' નામના ગોડાઉનમાંથી શંકાસ્પદ હળદર અને કાજુનો જથ્થો ઝડપાયા બાદ લેબોરેટરી રિપોર્ટમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે.

ભેળસેળની મોડસ ઓપરેન્ડી

આરોગ્ય અધિકારી ડો. તેજસ શાહના જણાવ્યા મુજબ, હળદરના સેમ્પલની તપાસમાં તેમાં સ્ટાર્ચનું પ્રમાણ ખૂબ જ વધારે જોવા મળ્યું છે. આર્થિક લાભ મેળવવા માટે હળદરમાં ઘઉંનો લોટ અને ચણાનો લોટ ઉમેરીને તેની ગુણવત્તા સાથે ચેડાં કરવામાં આવ્યા હતા. હળદર જેવી ઔષધીય વસ્તુમાં આ પ્રકારની ભેળસેળથી લોકોના સ્વાસ્થ્ય પર ગંભીર અસરો પડી શકે છે.

હળદરની માત્રા ઓછી કરી તેમાં લોટની મિલાવટ

8 મે AMC ની ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમે ગોડાઉનમાંથી હળદર અને કાજુના સેમ્પલ લીધા હતા.11 મે લેબોરેટરીના પરિણામોમાં હળદર અખાદ્ય હોવાનું સાબિત થયું.રિપોર્ટ આવતા જ તંત્ર દ્વારા હળદર તેમજ કાજુના જથ્થાને સીઝ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. આરોગ્ય વિભાગનું અનુમાન છે કે ધંધાર્થીએ માત્ર નાણાકીય નફો કરવા માટે હળદરની માત્રા ઓછી કરી તેમાં લોટની મિલાવટ કરી હતી. હાલમાં આ તમામ જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે અને વેપારી સામે કાયદેસરની કાર્યવાહી કરવાની તજવીજ શરૂ કરાઈ છે.

આ પણ વાંચો: Ahmedabad: જેલ સ્ટાફ ઊંઘતો રહ્યો અને કેદી રફુચક્કર, હત્યાના ગુનામાં બંધ પાકા કામનો કેદી જેલના મેઈન ગેટથી જ ભાગી છૂટ્યો