આગામી હોળી અને ધુળેટીના પર્વને ધ્યાનમાં રાખીને ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC) દ્વારા મુસાફરોની સુવિધા માટે ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. અમદાવાદથી વતન જતાં શ્રમિકો અને ડાકોરના મેળામાં જતાં પદયાત્રીઓનો ધસારો પહોંચી વળવા માટે નિગમ દ્વારા હજારો વધારાની બસો દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.


26 ફેબ્રુઆરીથી એક્સ્ટ્રા બસોનો પ્રારંભ

તહેવારની રજાઓમાં અમદાવાદથી ખાસ કરીને પંચમહાલ, દાહોદ અને ગોધરા તરફ જતાં મુસાફરોની સંખ્યામાં મોટો ઉછાળો જોવા મળે છે. આ ભીડને ધ્યાનમાં રાખીને એસટી નિગમ દ્વારા 26 ફેબ્રુઆરીથી જ વિશેષ બસો દોડાવવાની શરૂઆત કરવામાં આવશે. નિગમ દ્વારા સમગ્ર રાજ્યમાં તહેવાર દરમિયાન કુલ 7,500 એક્સ્ટ્રા ટ્રિપનું આયોજન કરવામાં આવ્યું છે.

ડાકોર માટે 450 એક્સ્ટ્રા બસ

હોળીના દિવસે ડાકોરમાં રણછોડરાયના દર્શનનું વિશેષ મહત્વ હોય છે. લાખો શ્રદ્ધાળુઓ ડાકોર પહોંચતા હોય ત્યારે એસટી નિગમે માત્ર ડાકોર રૂટ માટે 450 એક્સ્ટ્રા બસો ફાળવી છે. આ સુવિધાને કારણે પદયાત્રીઓ અને દર્શનાર્થીઓને પરત ફરતી વખતે વાહન વ્યવહારની કોઈ તકલીફ પડશે નહીં.

એડવાન્સ બુકિંગની સુવિધા

મુસાફરોને કોઈ મુશ્કેલી ન પડે તે માટે ઓનલાઈન અને બસ પોર્ટલ પર એડવાન્સ બુકિંગની સુવિધા પણ ઉપલબ્ધ કરાઈ છે. ખાસ કરીને અમદાવાદના ગીતામંદિર અને કૃષ્ણનગર બસ સ્ટેન્ડ પરથી પૂર્વ પટ્ટીના જિલ્લાઓ માટે સતત બસો ઉપલબ્ધ રહેશે.

આ પણ વાંચો: Surat: CM ભૂપેન્દ્ર પટેલે 'સ્વામી વિવેકાનંદ રાષ્ટ્રીય પુસ્તક મેળો' અને ફ્લાવર શોને ખુલ્લો મૂક્યો


  • Follow us on: