અમદાવાદ અને રાજકોટ સહિતના શહેરોમાં ભારે ગરમીને કારણે લોકોના સ્વાસ્થ્ય પર અસર વર્તાઈ છે. મોટા શહેરોમાં ગરમીને કારણે રોગચાળો ફાટી નીકળ્યો હોવાનું આંકાડાઓ બતાવી રહ્યાં છે. ઝાડા ઉલ્ટી અને તાવની ફરિયાદો સહિત પાણી જન્ય રોગચાળો પણ વધી ગયો છે. આરોગ્ય નિષ્ણાંતો પ્રમાણે તાપમાનમાં બેક્ટેરિયાની ઝડપી વૃદ્ધિ થતી હોવાથી પ્રદૂષિત પાણી કોલેરા અને ટાઈફોઈડનું જોખમ વધારે છે. સરકારી હોસ્પિટલોમાં સારવાર માટે દર્દીઓની ભીડ હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે.

પ્રદૂષિત પાણીના ઉદ્દભવસ્થાનો શોધવા તપાસ

AMCના આરોગ્ય વિભાગ મુજબ એપ્રિલ 2026માં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગોમાં નોંધપાત્ર વધારો થયો છે.આંકડાકીય વિગતો મુજબ,શહેરમાં ઝાડા-ઉલ્ટીના 642, કમળાના 55 અને ટાઈફોઈડના 155 કેસ નોંધાયા છે. સૌથી ચિંતાજનક બાબત એ છે કે તપાસ દરમિયાન પાણીના 21 નમૂના અનફ્ટિ જાહેર થયા છે અને 40 કિસ્સામાં ક્લોરીનનું પ્રમાણ શૂન્ય જણાયું છે.વધતા તાપમાનમાં બેક્ટેરિયાની ઝડપી વૃદ્ધિ થતી હોવાથી પ્રદૂષિત પાણી કોલેરા અને ટાઈફોઈડનું જોખમ વધારે છે. મ્યુનિસિપલ તંત્ર દ્વારા પણ પ્રદૂષિત પાણીના ઉદ્દભવસ્થાનો શોધવા તપાસ તેજ કરવામાં આવી છે.

રાજકોટ શહેરમાં વાયરલ રોગચાળો વકર્યો

રાજકોટ શહેરમાં ગરમીનો પારો 43 ડિગ્રીને આંબી ગયા બાદ વાયરલ રોગચાળો વકર્યો છે.છેલ્લા એક સપ્તાહ દરમિયાન તાવ, શરદી, ઉધરસ, ઝાડા-ઉલ્ટીના કુલ 1886 કેસ સરકારી ચોપડે નોંધાયા છે.જ્યારે કમળાના બે અને ટાઈફોઈડ તાવનો એક કેસ મળી આવ્યો છે.પાણીજન્ય રોગને અટકાવવા માટે કુલ 1085 ક્લોરીન ટેસ્ટ કરવામાં આવ્યા હોવાનો દાવો મહાપાલિકાના આરોગ્ય અધિકારીએ કર્યો છે. શહેરમાં કાળઝાળ ગરમી પડી રહી હોવા છતા મચ્છરનો ત્રાસ વધ્યો છે તેના કારણે છેલ્લા એક સપ્તાહમાં શરદી-ઉધરસના 747, સામાન્ય તાવના 711 અને ઝાડા-ઉલ્ટીના 423 કેસ નોંધાયા છે.

આ પણ વાંચોઃ Surat News: વરાછાની SBI બેંકમાં 50 લાખની લૂંટ કરનાર બે આરોપી ઉત્તર પ્રદેશથી ઝડપાયા