અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં ઢોંસાનું ખીરુ ખાધા બાદ બે બાળકીઓના શંકાસ્પદ મોતની ઘટનાએ સમગ્ર શહેરમાં અરેરાટી મચાવી દીધી છે. આ મામલે હવે ચાંદખેડા પોલીસે ગંભીરતા દાખવીને ફૂડ પોઈઝનિંગના કારણો શોધવા માટે મોટા પાયે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

સ્મશાનમાંથી બાળકીનો મૃતદેહ રિકવર કરાયો

મળતી માહિતી મુજબ, બાળકીના મોત બાદ પરિવારે તેની અંતિમ વિધિ કરી દીધી હતી. જોકે, મોત પાછળ ઝેરી ખોરાક જવાબદાર હોવાની શંકા દ્રઢ થતા પોલીસે આજે સવારે સ્મશાનમાંથી બાળકીના મૃતદેહને બહાર કાઢ્યો હતો. આ મૃતદેહને પેનલ ડોક્ટરોની હાજરીમાં ફોરેન્સિક પોસ્ટમોર્ટમ (PM) માટે મોકલવામાં આવ્યો છે, જેથી મોતનું ચોક્કસ કારણ જાણી શકાય.

FSLની ટીમે લીધા વિવિધ સેમ્પલ

ચાંદખેડા પોલીસે આ તપાસમાં FSL (ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી) ની ટીમને પણ સાથે રાખી છે. તપાસનીશ ટીમોએ જે ડેરીમાંથી ખીરુ ખરીદવામાં આવ્યું હતું ત્યાં અને મૃતક બાળકીના ઘરે જઈને ખાદ્ય પદાર્થોના સેમ્પલ લીધા છે. આ તમામ સેમ્પલને લેબોરેટરીમાં ચકાસણી માટે મોકલવામાં આવ્યા છે.

આ પણ વાંચો: Kutch: મંદિરની આડમાં નશાનો કારોબાર, ભચાઉના હનુમાન મંદિર પરિસરમાંથી ગાંજાનું વાવેતર ઝડપાયું