સ્માર્ટ સિટી અમદાવાદમાં ચોમાસું બેસે તે પહેલા જ રસ્તાઓ પર ભુવા પડવાની શરૂઆત થઈ ગઈ છે. મણીનગર વિસ્તારમાં આવેલી એલ.જી. હોસ્પિટલ નજીક અચાનક રોડ પર મસમોટો ભુવો પડતા અફરાતફરી મચી ગઈ હતી. આ ઘટનાએ મ્યુનિસિપલ કોર્પોરેશનના પ્રી-મોન્સૂન એક્શન પ્લાન પર ગંભીર સવાલો ઉભા કર્યા છે.

એક મહિનામાં ત્રીજો ભુવો

અમદાવાદમાં છેલ્લા એક મહિનામાં ભુવો પડવાની આ ત્રીજી ઘટના છે. આ અગાઉ વસ્ત્રાલ અને વટવા વિસ્તારમાં પણ રસ્તાઓ બેસી જવાની ઘટનાઓ બની હતી. હજુ તો વરસાદની શરૂઆત પણ નથી થઈ ત્યાં જ શહેરના મુખ્ય માર્ગો પર ભુવા પડવાને કારણે શહેર બદતર સ્થિતિ તરફ ધકેલાઈ રહ્યું હોય તેમ લાગી રહ્યું છે.

રિપેરિંગને બદલે બેરિકેટિંગ

એલ.જી. હોસ્પિટલ પાસે ભુવો પડ્યા બાદ તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે રિપેરિંગ કામગીરી હાથ ધરવાને બદલે માત્ર બેરિકેટિંગ કરી દેવામાં આવ્યું છે. હોસ્પિટલ જેવો સંવેદનશીલ વિસ્તાર હોવાથી અહીં દર્દીઓ અને એમ્બ્યુલન્સની સતત અવરજવર રહેતી હોય છે, તેવામાં આ ભુવો કોઈ મોટી દુર્ઘટનાને નિમંત્રણ આપી શકે છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે તંત્ર માત્ર થીંગડા મારીને સંતોષ માને છે, જેના કારણે દર વર્ષે આવી સ્થિતિ સર્જાય છે.

આ પણ વાંચો: Kadi: સામૂહિક દુષ્કર્મ કેસમાં 6 આરોપીઓને અંતિમ શ્વાસ સુધી આજીવન કેદની સજા, દરેક દોષિતને 2.30 લાખનો દંડ