શહેરમાં છેલ્લા કેટલાક સમયથી ખાદ્ય પદાર્થોની ગુણવત્તા અંગેની ફરિયાદોમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. ખોરાકમાં જીવાત નીકળવી કે પછી તેનું અખાદ્ય હોવું, જેવી ફરિયાદોને કારણે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં થતા હોવાની બાબત ગંભીર ચિંતાનો વિષય બની છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને અમદાવાદ મહાનગર પાલિકા (AMC) દ્વારા નાગરિકોના સ્વાસ્થ્યની સુરક્ષા માટે એક મોટું અને મહત્ત્વનું પગલું લેવામાં આવ્યું છે.
પાંચ માળની લેબ, ઝડપી રિપોર્ટ
હાલમાં મહાનગર પાલિકા પાસે બે ફૂડ લેબ કાર્યરત છે, જ્યાં ખાદ્ય પદાર્થોના સેમ્પલની તપાસ કરવામાં આવે છે. જોકે, આ પ્રક્રિયામાં સુધારો લાવવા અને તપાસને વધુ ઝડપી તથા સચોટ બનાવવા માટે, AMC હવે અત્યાધુનિક ફૂડ લેબ વિકસાવવા જઈ રહ્યું છે. આ પ્રોજેક્ટ માટે ટેન્ડર પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. મહાનગર પાલિકાના આયોજન મુજબ, આ નવી ફૂડ લેબ ₹29 કરોડના જંગી ખર્ચે તૈયાર થશે અને તે પાંચ માળની ભવ્ય ઇમારત હશે.
