અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા શહેરના પશ્ચિમ અને ઉત્તર-પશ્ચિમ વિસ્તારો માટે પાણી કાપની મહત્વની જાહેરાત કરવામાં આવી છે. આગામી 6 જાન્યુઆરીના રોજ જાસપુર વોટર વર્કસ હેઠળ આવતા અનેક વિસ્તારોમાં પાણી પુરવઠો સંપૂર્ણપણે બંધ રહેશે.


પશ્ચિમ અને ઉત્તર-પશ્ચિમ વિસ્તારો માટે પાણી કાપ

એસ.જી. હાઈવે અને રીંગ રોડને જોડતી મુખ્ય પાણીની લાઈનોના જોડાણ (ઇન્ટરકનેક્શન) ની કામગીરી હાથ ધરવામાં આવનાર છે. આ કામગીરીને કારણે સરખેજથી ચાંદખેડા અને વૈષ્ણોદેવીથી શાંતિપુરા સુધીના વિશાળ પટ્ટામાં પાણી પુરવઠો ખોરવાશે. મુખ્યત્વે નીચે મુજબના ઝોનમાં અસર થશે ઉત્તર-પશ્ચિમ ઝોન (ગોતા, ચાંદખેડા, થલતેજ વગેરે)દક્ષિણ-પશ્ચિમ ઝોન (સરખેજ, જોધપુર, મકરબા વગેરે).

શા માટે લેવાયો આ નિર્ણય?

એસ.જી. હાઈવે અને રીંગ રોડ નજીકના અંદાજે 11 જેટલા વિસ્તારોમાં નવી પાણીની લાઈનોના જોડાણની કામગીરી કરવાની હોવાથી જાસપુર વોટર વર્ક પ્લાન્ટને તે દિવસે કાર્યરત રાખી શકાય તેમ નથી. આ મેઈન્ટેનન્સ અને જોડાણની કામગીરી પૂર્ણ થયા બાદ જ પાણી પુરવઠો પુનઃસ્થાપિત કરવામાં આવશે. તંત્ર દ્વારા અગાઉથી જાણ કરવામાં આવી છે જેથી નાગરિકો પાણીનો જરૂરી સંગ્રહ કરી લે અને 6 તારીખે પાણીનો કરકસરપૂર્વક ઉપયોગ કરે. આ જોડાણ બાદ જે-તે વિસ્તારોમાં પાણીનું દબાણ અને વિતરણ વ્યવસ્થા વધુ સુદ્રઢ બનશે તેવી શક્યતા છે.

 આ પણ વાંચો: પાકિસ્તાની એજન્ટને સેનાની માહિતી આપનાર મહિલા જાસૂસના જામીન નડિયાદ કોર્ટે ફગાવ્યા

  • Follow us on: