રાજ્યમાં ફરી એકવાર બદલાયેલા વાતાવરણ અને કમોસમી વરસાદે ખેડૂતો અને વેપારીઓની મુશ્કેલીમાં વધારો કર્યો છે. અમદાવાદ શહેરમાં પડેલા માવઠાને કારણે વેજલપુર APMC (એપીએમસી) માં રાખવામાં આવેલો શાકભાજીનો જથ્થો પલળી જતાં વેપારીઓને ભારે આર્થિક ફટકો પડ્યો છે.

જથ્થાબંધ બજારમાં નુકસાનીની વિગત

વેજલપુર માર્કેટ યાર્ડમાં વેચાણ માટે લાવવામાં આવેલી ડુંગળી અને બટેકાના જથ્થા પર વરસાદી પાણી ફરી વળ્યા હતા. પ્રાથમિક અંદાજ મુજબ, 200 થી પણ વધુ ડુંગળી અને બટેકાના કટ્ટા પલળી જવાથી ખરાબ થઈ ગયા છે. માર્કેટમાં યોગ્ય શેડ કે સુરક્ષાના અભાવે ખુલ્લામાં પડેલો માલ પલળી જતાં વેપારીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

ખેડૂતોના જીવ તાળવે ચોંટ્યા

એક તરફ માર્કેટ યાર્ડમાં વેપારીઓ પાયમાલ થઈ રહ્યા છે, તો બીજી તરફ ખેતરોમાં ઉભેલા પાકને લઈને ખેડૂતોના જીવ પણ તાળવે ચોંટ્યા છે. તૈયાર થવા આવેલા રવિ પાક અને શાકભાજીના પાકમાં માવઠાને કારણે રોગચાળો આવવાની કે પાક નિષ્ફળ જવાની ભીતિ સેવાઈ રહી છે. જો આગામી સમયમાં વધુ વરસાદ પડશે તો ખેતી અને બજાર બંને વ્યવસ્થાને મોટી અસર થઈ શકે તેમ છે.

આ પણ વાંચો: Borsad: ST બસ અને બાઈક વચ્ચે અકસ્માત, લાંભવેલના બે આશાસ્પદ યુવકોના કરૂણ મોત