અમદાવાદ જિલ્લાના વિરમગામ તાલુકામાં આજે વહેલી સવારે એક અત્યંત કરુણ અકસ્માતની ઘટના સામે આવી છે. વિરમગામ-નળસરોવર રોડ પર આવેલા વનથળ અને કમીજલા ગામ વચ્ચે એક અજાણ્યા વાહને મોટરસાયકલને જોરદાર ટક્કર મારતા ત્રણ લોકોના ઘટનાસ્થળે જ કરુણ મોત નિપજ્યા છે, જ્યારે અન્ય બે લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે.
વિરમગામમાં હિટ એન્ડ રન
મળતી માહિતી મુજબ, એક બાઈક પર સવાર પાંચ લોકો વનથળ-કમીજલા રોડ પરથી પસાર થઈ રહ્યા હતા, તે દરમિયાન કોઈ અજાણ્યા વાહન ચાલકે પૂરપાટ ઝડપે આવી બાઈકને અડફેટે લીધી હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે બાઈક પર સવાર ત્રણ લોકોના સ્થળ પર જ પ્રાણ પંખેરૂ ઉડી ગયા હતા. અકસ્માત સર્જ્યા બાદ વાહન ચાલક પોતાનું વાહન લઈને ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો.










