ગુજરાતમાં આજે અનેક વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવ્યો હતો. દાહોદ અને મહિસાગરમાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો. આ ઉપરાંત અરવલ્લી જિલ્લામાં પણ વરસાદ વરસ્યો હતો. દાહોદમાં ફૂંકાયેલા વાવાઝોડાને કારણે ક્યાંક વૃક્ષો ધરાશાયી થયા હતાં તો ક્યાંક પ્રસંગના મંડપ ઉડ્યા હતાં. હવામાન વિભાગે વાતાવરણમાં પલટો આવવાની આગાહી કરી હતી. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે 5થી 8 મે દરમિયાન રાજ્યમાં વરસાદની આગાહી કરી છે.

આગાહીકાર અંબાલાલ પટેલની આગાહી

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે રાજ્યમાં 8મી મે સુધી વરસાદની આગાહી કરી છે. પંચમહાલ, દાહોદ, મહિસાગરમાં વરસાદની આગાહી કરી છે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં પણ વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્રમાં વાદળછાયું વાતાવરણ રહેશે.11 મે પછી રાજ્યમાં ગરમીનું પ્રમાણ વધશે. મધ્ય અને ઉત્તર ગુજરાતમાં તાપમાનમાં વધારો થશે. તાપમાનનો પારો 44 ડિગ્રી સુધી પહોંચી શકે છે. રાજકોટ અને મોરબી, સુરેન્દ્રનગર અને કચ્છમાં પણ તાપમાન ઊંચકાશે. 23 મે આસપાસ પ્રી-મોન્સુન પ્રવૃત્તિ શરૂ થવાની શક્યતા છે. 15 મે બાદ અરબી સમુદ્રમાં વાવાઝોડાની સંભાવના છે. બંગાળની ખાડીમાં વાવઝોડુ સક્રિય થવાની પણ સંભાવનાઓ છે.

દાહોદ જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો

દાહોદ જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે. દાહોદ, ઝાલોદ, લીમડી,મીરાખેડી, વરોડ અને ડુંગરી સહિતના વિસ્તારોમાં વરસાદ ખાબક્યો છે. ભારે પવન અને વિજળીના કડાકા ભડાકા સાથે વરસાદ ખાબક્યો છે.અનેક વિસ્તારોમાં કરા સાથે વરસાદ ખાબક્યો છે. ભર ઉનાળે દાહોદમાં વરસાદી માહોલ જામ્યો છે. હાલ લગ્નની સિઝન હોવાથી લોકો ચિંતામાં મુકાયા છે. બીજી તરફ વરસાદને કારણે ખેડૂતોને નુકસાનની ભિતી સેવાઈ રહી છે. ફતેપુરા તાલુકમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ ખાબક્યો હતો. કેટલાક વિસ્તારોમાં કરા પણ પડ્યા હતાં.

આ પણ વાંચોઃ Surat News: 41 વર્ષનો વ્યક્તિ લૂંટેરી દુલ્હનનો ભોગ બન્યો, લગ્ન મંડપથી દાગીના લઇ ફરાર