અંબાજીને વૈશ્વિક કક્ષાનું તીર્થધામ બનાવવા માટે મહાત્વાકાંક્ષી કોરિડોર પ્રોજેક્ટ પર કામ ચાલી રહ્યું છે. આ પ્રોજેક્ટના સુચારૂ અમલીકરણ માટે આજે બનાસકાંઠા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા 'ઓપરેશન દબાણ ૨.૦' શરૂ કરવામાં આવ્યું છે. ડેપ્યુટી કલેક્ટર, ડીવાયએસપી (DySP) સહિતના ઉચ્ચ અધિકારીઓની સીધી દેખરેખ હેઠળ સવારથી જ અંબાજીના અલગ-અલગ ચાર વિસ્તારોમાં ગેરકાયદેસર બાંધકામો પર જેસીબી અને બુલડોઝર ફેરવવાની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરી દેવામાં આવી છે.
રેવન્યુ અને પંચાયતની જમીનો કરાશે લાઇન-ક્લિયર
તંત્રના સત્તાવાર સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, આ કામગીરી મુખ્યત્વે મહેસૂલ વિભાગ (રેવન્યુ) અને અંબાજી ગ્રામ પંચાયત હસ્તકની જમીનો પર થયેલા ગેરકાયદે ધાંધા-ધાપા હટાવવા માટે કરવામાં આવી રહી છે. આજે એક જ દિવસમાં ૩૦થી વધારે મોટા કોમર્શિયલ અને રહેણાંક પાકા દબાણો તેમજ રસ્તા નડતરરૂપ નાના ગેરકાયદે બાંધકામોને તોડી પાડવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે આ અગાઉ કોરિડોરની શરૂઆતી કામગીરીમાં રબારી વાસ વિસ્તારમાંથી રેકોર્ડબ્રેક 85 જેટલા મોટા દબાણો સફળતાપૂર્વક હટાવી દેવાયા હતા, જેના કારણે હવે આગળનો માર્ગ મોકળો બન્યો છે.










