શક્તિપીઠ અંબાજી ખાતે ગબ્બરના વિકાસ માટેના મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ 'ગબ્બર પ્લાઝા'ની કામગીરીને વેગ આપવા માટે વહીવટી તંત્ર દ્વારા દબાણ હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. ગબ્બર તળેટી વિસ્તારમાં ગેરકાયદેસર રીતે ઉભા કરી દેવાયેલા દબાણોને જેસીબીની મદદથી જમીનદોસ્ત કરવામાં આવ્યા છે.

ગબ્બર તળેટીમાં તંત્રનું મેગા ડિમોલિશન

કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે વહીવટી તંત્ર દ્વારા પૂરતી તકેદારી રાખવામાં આવી હતી.વહેલી સવારથી જ પોલીસનો મોટો કાફલો ગબ્બર તળેટી ખાતે ખડકી દેવામાં આવ્યો હતો. પોલીસ અને વહીવટી અધિકારીઓની હાજરીમાં આ ઓપરેશન પાર પાડવામાં આવ્યું હતું. તંત્ર દ્વારા પાંચ જેટલી દુકાનો અને અન્ય કાચા-પાકા દબાણો પર જેસીબી ફેરવી દઈને જગ્યા ખુલ્લી કરવામાં આવી હતી.

ગબ્બર પ્લાઝા માટે લેવાયો નિર્ણય

યાત્રાળુઓની સુવિધા માટે અંબાજી વિકાસ સત્તામંડળ દ્વારા ગબ્બર ખાતે અત્યાધુનિક 'ગબ્બર પ્લાઝા'નું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. આ પ્લાઝાની કામગીરીમાં સીમારેખા પર આવતી કેટલીક દુકાનો અને દબાણો અવરોધરૂપ બની રહ્યા હતા. અગાઉ તંત્ર દ્વારા આ દબાણકર્તાઓને સ્વેચ્છાએ જગ્યા ખાલી કરવા માટે નોટિસ આપવામાં આવી હોવાનું પણ જાણવા મળ્યું છે. અંતે, મક્કમતા બતાવી તંત્રએ આ દબાણો દૂર કર્યા છે.

આ પણ વાંચો:Rajkot: કોંગ્રેસમાં વિખવાદ ફરી એકવાર ચગ્યો, પૂર્વ કોર્પોરેટર પ્રવીણ સોરાણીના પ્રમુખ સામે પ્રહાર, 'શક્તિ ન હોય તો પદ છોડો'