અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના ચાવંડ ગામ નજીક આજે એક મોટી માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. ભાવનગરથી જામનગર જઈ રહેલી જાનૈયાઓથી ભરેલી લક્ઝરી બસ અચાનક પલટી મારી જતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ અકસ્માતમાં બસમાં સવાર આશરે 40 મુસાફરોમાંથી 20 જેટલા લોકોને નાની-મોટી ઈજાઓ પહોંચી છે.
જાનની બસને નડ્યો અકસ્માત
મળતી વિગતો મુજબ, ભાવનગરથી એક પરિવારની જાન જામનગર જઈ રહી હતી ત્યારે લાઠીના ચાવંડ નજીક ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતા બસ રસ્તા પર જ પલટી મારી ગઈ હતી. બસ પલટી ખાતા જ મુસાફરોની ચીસિયારીઓથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. સદનસીબે, બસ પલટી મારવા છતાં કોઈ ગંભીર જાનહાની થઈ નથી, જે એક ચમત્કાર સમાન ગણાઈ રહ્યો છે.
