ગુજરાતમાં વ્યાજખોરો ફરી સક્રિય થયા છે. પોલીસે વ્યાજખોરો સામે કડક કાર્યવાહી કરી હોવા છતાં હજી ત્રાસ ઓછો થયો નથી. વારંવાર વ્યાજખોરોના ત્રાસથી લોકો હેરાન થતા હોવાના દાખલા સામે આવી રહ્યાં છે. ત્યારે અમરેલીમાં ભાજપના ઉપાધ્યક્ષનો પુત્ર વ્યાજખોરના ત્રાસથી લાપતા થયો છે. સુરેશ પાનસુરિયાનો પુત્ર 31મી ડિસેમ્બરે સ્યુસાઈડ નોટ લખીને ગુમ થયો છે. પોલીસે તેની શોધખોળ માટે તપાસ શરૂ કરી દીધી છે.
31મી ડિસેમ્બરે રાત્રે સ્યુસાઈડ નોટ લખીને રવિ ગુમ થયો
પ્રાપ્ત વિગતો પ્રમાણે અમરેલી જિલ્લા ભાજપ ઉપાધ્યક્ષ સુરેશ પાનસુરિયાનો પુત્ર રવિ પાનસુરિયા વ્યાજખોરોના ત્રાસથી ગુમ થયો હોવાની વિગતો પ્રાપ્ત થઈ રહી છે. 31મી ડિસેમ્બરે રાત્રે સ્યુસાઈડ નોટ લખીને રવિ ગુમ થયો હતો. રવિએ ગોધરા નીટ કાંડના દિક્ષિત પટેલ સહિત 16 લોકો પાસેથી 11.25 કરોડ રૂપિયા વ્યાજે લીધા હતાં. 4.90 કરોડની મિલકત અને 3.38 કરોડ રૂપિયા આરટીજીએસથી તેણે ચૂકવ્યા હતાં. વ્યાજખોરોએ માત્ર 2.97 કરોડની સામે 15 કરોડની ઉઘરાણી કરી હતી.










