અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના કોટડા પીઠા ગામે ગૌચરની જમીન બાબતે થયેલી જૂથ અથડામણમાં એક વૃદ્ધનું કરુણ મોત નીપજ્યું છે. બે દિવસ પૂર્વે થયેલી આ મારામારીમાં ગંભીર રીતે ઘવાયેલા વૃદ્ધે રાજકોટની હોસ્પિટલમાં સારવાર દરમિયાન દમ તોડતા હવે આ મામલો હત્યામાં પલટાયો છે.

ઘટનાની વિગત

મળતી માહિતી મુજબ, કોટડા પીઠા ગામની ગૌચરની જમીનમાં ખેતી કરવા જેવી બાબતને લઈને સ્થાનિકો વચ્ચે વિવાદ ચાલતો હતો. આ તકરાર ઉગ્ર બનતા લાકડીઓ અને ધારદાર હથિયારો વડે સામસામે હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં બાબભાઈ ખાચર નામના વૃદ્ધને માથા અને શરીરના ભાગે લાકડીના સપાટા મારી ગંભીર ઈજાઓ પહોંચાડવામાં આવી હતી.

સારવાર દરમિયાન મોત

ઈજાગ્રસ્ત બાબભાઈને તાત્કાલિક સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા હતા. જોકે, બે દિવસની સારવાર બાદ ગંભીર ઈજાઓને કારણે તેમનું હોસ્પિટલના બિછાને મોત નીપજ્યું છે. આ સમાચાર મળતા જ કોટડા પીઠા ગામમાં શોક અને તંગદિલીનો માહોલ વ્યાપી ગયો છે.

પોલીસ કાર્યવાહી

બાબરા પોલીસે આ મામલે પ્રાથમિક તપાસ બાદ હવે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ હુમલાના મુખ્ય આરોપી રમેશ ગોરધન સોલંકી વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને પોલીસની અલગ-અલગ ટીમો દ્વારા તેની શોધખોળ શરૂ કરવામાં આવી છે. ગામમાં શાંતિ જળવાઈ રહે તે માટે પોલીસ બંદોબસ્ત પણ તૈનાત કરવામાં આવ્યો છે.


આ પણ વાંચો----      Gujarat Weather : આગામી 3 કલાકમાં આ જિલ્લાઓમાં થશે માવઠું, 30 થી 40 કીમીએ પવન ફુંકાવાની આગાહી