ભારત સરકારની આરોગ્યલક્ષી પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અમરેલી જિલ્લાના સામાન્ય નાગરિકો માટે આર્થિક રાહત અને શ્રેષ્ઠ સારવારનું માધ્યમ બની છે. જિલ્લા વહીવટી તંત્રના સઘન પ્રયાસોને પરિણામે ચાલુ વર્ષ દરમિયાન આરોગ્ય ક્ષેત્રે અભૂતપૂર્વ સિદ્ધિ હાંસલ કરવામાં આવી છે. ચાલુ વર્ષે અમરેલી જિલ્લામાં ૧૩,૫૦૦ દર્દીઓ માટે ‘આયુષ્માન કાર્ડ’ સંજીવની બન્યું છે.
આયુષ્માન કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું
પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ આ તમામ નાગરિકોને કુલ મળીને રૂ. 16.99 કરોડના ખર્ચે નિ:શુલ્ક આરોગ્ય સારવાર આપવામાં આવી છે. જિલ્લામાં વર્ષ 2024-25માં કુલ 53702 નવા આયુષ્માન કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું છે, આમ વંચિત, ગરીબોને આરોગ્ય કવચ સરળતાથી મળ્યું છે. મોંઘીદાટ આરોગ્ય સારવાર ગરીબ પરિવાર, વંચિતો અને સામાન્ય નાગરિકો માટે પહોંચની બહાર હોય છે. આરોગ્ય ક્ષેત્ર સતત અને અવિરત વિસ્તરી રહ્યું છે. સામાન્યમાં સામાન્ય નાગરિકને સરળતાથી કેશલેસ સારવાર મળે અને સમગ્ર પરિવારને આરોગ્ય કવચનો લાભ મળે તે પ્રકારે ભારત સરકાર દ્વારા વર્ષ 2018માં પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના શરૂ કરવામાં આવી હતી.










