અમરેલી જિલ્લામાં ફરી એકવાર વન્યજીવ સૃષ્ટિ માટે માઠા સમાચાર સામે આવ્યા છે. રાજુલા તાલુકાના દાતરડી ગામ નજીક પસાર થતા ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર અજાણ્યા વાહનની અડફેટે એક ૧ વર્ષના માસૂમ સિંહબાળનું મોત નિપજ્યું છે. આ ઘટનાને પગલે વન્યજીવ પ્રેમીઓમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે.

અમરેલીમાં સિંહબાળનું કરુણ મોત

ગઈકાલે રાત્રિના સમયે અથવા વહેલી સવારે જ્યારે સિંહ પરિવાર હાઈવે ક્રોસ કરી રહ્યો હશે, ત્યારે કોઈ અજાણ્યા પૂરપાટ ઝડપે આવતા વાહને સિંહબાળને જોરદાર ટક્કર મારી હતી. ટક્કર એટલી ભયાનક હતી કે ૧ વર્ષના સિંહબાળનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું. અકસ્માત સર્જી વાહન ચાલક અંધારાનો લાભ લઈ ફરાર થઈ ગયો હતો.

સુરક્ષા સામે ઉઠતા સવાલો

અમરેલી જિલ્લામાં અગાઉ પણ સિંહ અને દીપડાના માર્ગ અકસ્માતમાં મોતની અનેક ઘટનાઓ બની ચૂકી છે. વારંવાર બનતી આવી ઘટનાઓ બાદ પણ હાઈવે પર વાહનોની ગતિ મર્યાદા નક્કી કરવા કે સિંહોના કોરિડોર પર સુરક્ષા વધારવા અંગે વન વિભાગ દ્વારા નક્કર કામગીરી કરવામાં આવતી નથી તેવા આક્ષેપો થઈ રહ્યા છે. દેશની શાન ગણાતા એશિયાટિક લાયન્સની સુરક્ષાને લઈ હવે ગંભીર સવાલો ઉઠી રહ્યા છે.

આ પણ વાંચો: Patan: હારીજ પાસે કાર અને ટ્રક વચ્ચે ગમખ્વાર ટક્કર, ટ્રેક્ટર એજન્સીના મેનેજરનું ઘટનાસ્થળે જ કરુણ મોત