અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના ઉમરીયા ગામે ખેતીકામ કરતા ખેડૂત માટે રાત કાળી સાબિત થઈ હતી. ઉમરીયા ગામના ખેડૂત વાસુરભાઈ કામળિયાની વાડીમાં રાત્રિના સમયે સિંહ ચઢી આવતા અફરાતફરી મચી ગઈ હતી. સિંહને જોઈને ડરી ગયેલા બળદોએ દોટ મૂકી હતી, જેમાં બે બળદ સાથે આખું બળદગાડું વાડીના ખુલ્લા કૂવામાં ખાબક્યું હતું.
ખાંભામાં બળદગાડું કૂવામાં ખાબક્યું
ઘટનાની જાણ થતા જ ખાંભા મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી (TDO) અને ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. મધરાતે કૂવામાં પડેલા બળદોને બહાર કાઢવા માટે ક્રેઈન બોલાવવામાં આવી હતી. ફાયર વિભાગ અને સ્થાનિક લોકોએ સતત 5 કલાક સુધી ભારે જહેમત ઉઠાવીને રેસ્ક્યુ કામગીરી હાથ ધરી હતી.










