અમરેલી જિલ્લાના વડિયા પંથકની જીવાદોરી સમાન સુરવો ડેમને લઈને વહીવટી તંત્ર દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. ડેમના દરવાજામાં લાંબા સમયથી જરૂરી એવા સમારકામ (રીપેરીંગ) ની કામગીરી હાથ ધરવા માટે ડેમમાંથી પાણી છોડવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે.

સમારકામ માટે ડેમ ખાલી કરાશે

મળતી માહિતી મુજબ, સુરવો ડેમના દરવાજામાં ખામી હોવાથી તેને રીપેર કરવા અનિવાર્ય બન્યા છે. આ સમારકામ માટે ડેમની જળ સપાટી ઘટાડવી જરૂરી હોવાથી તંત્ર દ્વારા પાણીનો નિકાલ કરવાનું નક્કી કરાયું છે. હાલ ડેમમાં પાણીની સપાટી 8 ફૂટ પર પહોંચી છે. ડેમમાં સંગ્રહિત કુલ 55 MCFT પાણી તબક્કાવાર નદીમાં છોડવામાં આવશે.

ખેડૂતો અને સ્થાનિકોમાં ચિંતાનો માહોલ

એક તરફ જ્યારે કાળઝાળ ગરમી પડી રહી છે અને ઉનાળો પોતાની ચરમસીમાએ છે, ત્યારે ડેમમાંથી પાણી છોડવાના નિર્ણયને પગલે સ્થાનિક ખેડૂતોમાં ચિંતા પ્રસરી છે. ખેડૂતોને ડર છે કે જો ડેમ ખાલી કરી દેવામાં આવશે તો ઉનાળુ પાક અને પશુઓ માટે પીવાના પાણીની સમસ્યા સર્જાઈ શકે છે. જોકે, તંત્ર દ્વારા સુરક્ષા અને જાળવણીના ભાગરૂપે આ પગલું ભરવું જરૂરી હોવાનું જણાવાયું છે.

આ પણ વાંચો: Gandhinagar: IPL મેચ પર ઓનલાઇન સટ્ટો રમતા શખ્સ પર LCB-1 નો સપાટો, 5.30 લાખનો મુદ્દામાલ જપ્ત