એશિયાટિક સિંહોના નિવાસસ્થાન ગીર સરહદે સિંહના મોતની ઘટના સામે આવ્યા બાદ વન વિભાગ સફાળું જાગ્યું છે અને વન્યજીવોની સુરક્ષાને લઈને કોઈ બાંધછોડ ન કરવાના મૂડમાં છે. સિંહના મોત બાદ સમગ્ર ગીર અને અમરેલીના રેન્જ વિસ્તારમાં કટોકટી જેવી સ્થિતિ સર્જાઈ છે. વન વિભાગના સર્વોચ્ચ અધિકારી PCCF (પીસીસીએફ) પોતે કોઈપણ કચેરીમાં બેસવાને બદલે સીધા જ જંગલ અને રેવન્યુ વિસ્તારના ફિલ્ડમાં તપાસ માટે ઉતરી પડ્યા છે.
પીપાવાવ અને ભેરાઈ કોસ્ટલ બેલ્ટમાં સઘન સર્ચ
સિંહોના વસવાટવાળા અમરેલી જિલ્લાના રાજુલા તાલુકા હેઠળ આવતા પીપાવાવ પોર્ટ આસપાસના વિસ્તારો તેમજ ભેરાઈ પંથકમાં વન વિભાગની જુદી-જુદી ટીમો દ્વારા વ્યાપક તપાસ હાથ ધરવામાં આવી છે. સિંહો જે વિસ્તારોમાં અવારનવાર અવરજવર કરે છે તેવા રેવન્યુ કેમ્પ અને સ્થાનિક સ્થળો પર અધિકારીઓ જાતે જઈને ગતિવિધિઓ ચકાસી રહ્યા છે. છેલ્લા ત્રણ દિવસથી ગીર જંગલ અને બોર્ડરના વિસ્તારોમાં મોનિટરિંગ અત્યંત સખત કરી દેવામાં આવ્યું છે.
