અમરેલી જિલ્લાના રાજૂલા તાલુકાના વાવેરા ગામે કોળી સમાજના સમૂહ લગ્નનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગુજરાત કોળી સમાજના પ્રમુખ અને ધારાસભ્ય હીરાભાઈ સોલંકી તથા ભક્તિ બાપુ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. હીરાભાઈએ સમાજના ઉત્થાન માટે અન્ય સમાજની સારી બાબતોને અપનાવવા પર ભાર મૂક્યો હતો.
આહીર સમાજની સિસ્ટમ અને બંધારણના વખાણ
હીરાભાઈ સોલંકીએ પોતાના સંબોધનમાં આહીર સમાજના સમૂહ લગ્નોની વ્યવસ્થા અને તેમના સામાજિક બંધારણના મુક્ત મને વખાણ કર્યા હતા. તેમણે જણાવ્યું કે, "આપણે અન્ય સમાજ પાસેથી ઘણું શીખવાનું છે. ખાસ કરીને આહીર સમાજમાં જે રીતે સમૂહ લગ્નની સિસ્ટમ અને શિસ્તબદ્ધ બંધારણ છે, તેવું જ મજબૂત બંધારણ કોળી સમાજે પણ નક્કી કરવાની જરૂર છે.
કોળી સમાજમાં એકતા અને સમૂહ લગ્નનું મહત્વ
હીરાભાઈએ સમાજમાં એકતા જાળવી રાખવા હાકલ કરતા ગૌરવ સાથે જણાવ્યું હતું કે સમગ્ર ગુજરાતમાં સૌથી વધુ કોળી સમાજના સમૂહ લગ્નો જાફરાબાદ તાલુકામાં યોજાય છે, જે સમાજની જાગૃતિ અને આર્થિક કરકસરનું પ્રતીક છે.સમૂહ લગ્ન દ્વારા સમાજનો ખોટો ખર્ચ અટકે છે અને પરસ્પર ભાઈચારો વધે છે. આગામી સમયમાં કોળી સમાજ પણ આહીર સમાજની જેમ એક ચોક્કસ સામાજિક માળખું (બંધારણ) બનાવે તે માટે તેમણે અનુરોધ કર્યો હતો.આ કાર્યક્રમમાં ભક્તિ બાપુએ પણ નવદંપતીઓને આશીર્વાદ આપ્યા હતા અને સમાજને વ્યસનમુક્તિ તથા શિક્ષણ તરફ વળવા આહવાન કર્યું હતું.
આ પણ વાંચો: Surat: SMCનું ઐતિહાસિક બજેટ, 10,593 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ, વેરામાં કોઈ વધારો નહીં