અમરેલી જિલ્લાના મોટી કુકાવાવ ખાતે આજે એકાએક બનેલી ઘટનામાં આંગણવાડીની બહેનોમાં ભારે નાસભાગ મચી ગઈ હતી. બાલનાથ મહાદેવ મંદિર નજીક ICDS (ઇન્ટીગ્રેટેડ ચાઇલ્ડ ડેવલપમેન્ટ સર્વિસીસ) ની પોષણક્ષમ તાલીમ ચાલી રહી હતી, ત્યારે અચાનક મધમાખીઓએ હુમલો કરતા અફડાતફડીનો માહોલ સર્જાયો હતો.
વૃક્ષ પરથી મધનું પોપડું પડતા સર્જાઈ દુર્ઘટના
ઘટનાની મળતી માહિતી અનુસાર, બાલનાથ મહાદેવ મંદિર નજીક આવેલા એક લીમડાના વૃક્ષ પર મધમાખીઓનો મોટો પૂડો હતો. તાલીમ દરમિયાન આ પોપડું અચાનક નીચે પડતા મધમાખીઓ છંછેડાઈ હતી અને ત્યાં હાજર મહિલાઓ પર તૂટી પડી હતી. આ અચાનક થયેલા હુમલાને કારણે મહિલાઓમાં નાસભાગ અને ચીસાચીસ મચી ગઈ હતી.
25 જેટલી બહેનોને મધમાખીઓએ ડંખ માર્યા
આ હુમલામાં આશરે 25 જેટલી આંગણવાડીની બહેનોને મધમાખીઓએ ડંખ માર્યા હતા. ઘટનાની જાણ થતા જ 108 એમ્બ્યુલન્સનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને તમામ ઇજાગ્રસ્ત બહેનોને તાત્કાલિક સારવાર માટે સામૂહિક આરોગ્ય કેન્દ્ર (CHC) ખાતે ખસેડવામાં આવી હતી.
6 બહેનો હજુ પણ ઓબ્ઝર્વેશન હેઠળ
હોસ્પિટલના સૂત્રોના જણાવ્યા અનુસાર, પ્રાથમિક સારવાર આપ્યા બાદ 19 બહેનોની તબિયતમાં સુધારો જણાતા તેમને રજા આપી દેવામાં આવી છે. જોકે, અન્ય 6 બહેનોને વધુ ડંખ હોવાને કારણે સાવચેતીના ભાગરૂપે સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ઓબ્ઝર્વેશન હેઠળ રાખવામાં આવી છે. હાલ તમામની હાલત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે. તાલીમ જેવા સરકારી કાર્યક્રમ દરમિયાન બનેલી આ ઘટનાને પગલે સ્થાનિક વહીવટી તંત્ર પણ દોડતું થયું હતું.
આ પણ વાંચો - Amreli : વડિયામાં ટ્રેક્ટર કુદાવી રીલ્સ બનાવવાની ના પાડતા મજૂરે યુવાનની કરપીણ હત્યા કરી, બાઈક લૂંટી ફરાર