આણંદના ભાલેજ ઓવરબ્રિજ પાસે આજે એક યુવકે ગળેફાંસો ખાઈ જીવનલીલા સંકેલી લેતા અરેરાટી વ્યાપી ગઈ છે. આ ઘટનાની જાણ થતા જ આસપાસના લોકો એકત્ર થઈ ગયા હતા અને રેલ્વે પોલીસને તાત્કાલિક જાણ કરવામાં આવી હતી.


ભાલેજ ઓવરબ્રિજ પાસે યુવકનો આપઘાત 

મળતી માહિતી મુજબ, ભાલેજ ઓવરબ્રિજથી આશરે 100 મીટર દૂર રેલ્વે ટ્રેકની બાજુમાં આવેલા બાવળના ઝાડ સાથે એક યુવકનો મૃતદેહ લટકતી હાલતમાં જોવા મળ્યો હતો. મૃતકની ઓળખ ઝારખંડના વતની સંજય સરદાર તરીકે થઈ છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે મૃતક યુવાન નજીકમાં ચાલી રહેલા રેલ્વે ગરનાળાના બાંધકામ સાઇટ પર મજૂરી કામ કરતો હતો.

પોલીસ કાર્યવાહી

ઘટનાસ્થળે પહોંચેલી આણંદ રેલ્વે પોલીસે પ્રાથમિક તપાસમાં જોયું કે યુવકે કાપડની પટ્ટી વડે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી છે. હાલ તો યુવકે કયા કારણોસર આટલું મોટું પગલું ભર્યું તે અંગે હજુ સુધી કોઈ સ્પષ્ટતા થઈ નથી. પોલીસે મૃતદેહને કબજે કરી પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ મોકલી આપ્યો છે અને આગળની તપાસ હાથ ધરી છે. આ બનાવને પગલે મૃતકના સાથી કામદારો અને પરિવારજનોમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે.

આ પણ વાંચો: Jamnagar: હાપામાં મસાલા ફેક્ટરીમાં ભીષણ આગ, લાખો રૂપિયાનું મરચું બળીને ખાખ


  • Follow us on: