આણંદ જિલ્લાના આંકલાવ તાલુકામાં આવેલા નવાખલ ગામે આજે એક ભયાનક દુર્ઘટના ઘટી હતી. ગામના જૈન દેરાસર વિસ્તારમાં આવેલું એક મકાન અચાનક પત્તાના મહેલની જેમ ધરાશાયી થયું હતું. આ સમયે મકાનમાં હાજર દંપતી કાટમાળ નીચે દટાઈ જતાં સમગ્ર પંથકમાં ગભરાટનો માહોલ ફેલાઈ ગયો હતો.

સ્થાનિક યુવાનોની સમયસૂચકતા

મકાન પડવાનો અવાજ આવતા જ આસપાસના લોકો દોડી આવ્યા હતા. મકાન નીચે દંપતી દટાયું હોવાની જાણ થતા જ સ્થાનિક યુવાનોએ તંત્ર કે જેસીબીની રાહ જોયા વગર પોતે જ કાટમાળ હટાવવાની કામગીરી શરૂ કરી દીધી હતી. જીવના જોખમે યુવાનોએ મિનિટોની જહેમત બાદ દંપતીને સુરક્ષિત બહાર કાઢવામાં સફળતા મેળવી હતી.

મોટી જાનહાનિ ટળી, માલસામાનને નુકસાન

દુર્ઘટનાની જાણ થતા જ 108 એમ્બ્યુલન્સની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. કાટમાળમાંથી બહાર કાઢવામાં આવેલા ઇજાગ્રસ્ત દંપતીને તાત્કાલિક પ્રાથમિક સારવાર આપી હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યું છે. સદનસીબે આ ભયાનક દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ મકાન ધરાશાયી થતાં ઘરવખરી અને તમામ માલસામાનનો કચ્ચરઘાણ વળી ગયો છે.

 આ પણ વાંચો: Mahisagar: પંચ ગાડી અને બાઈક વચ્ચે અકસ્માત, બાઈક સવારને બચાવવા જતા કાર ખેતરમાં પલટી