આણંદ જિલ્લાના ભાલેજ વિસ્તારમાં નજીવી બાબતે થયેલી તકરારે હિંસક સ્વરૂપ ધારણ કર્યું છે. સોસાયટીના રસ્તાના વિવાદને લઈને એક જ કોમના બે જૂથો સામસામે આવી જતાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. આ અથડામણમાં પથ્થરમારો અને ઘાતક હથિયારો વડે હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં બંને પક્ષના કુલ 6 થી વધુ લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે.
રસ્તાના વિવાદે પકડ્યું હિંસક સ્વરૂપ
પ્રાપ્ત માહિતી અનુસાર, ભાલેજમાં આવેલી એક સોસાયટીના રસ્તાને લઈને છેલ્લા કેટલાક સમયથી વિવાદ ચાલી રહ્યો હતો. આ બાબતને લઈને ઉશ્કેરાયેલા ટોળાએ એકબીજા પર પથ્થરમારો શરૂ કર્યો હતો. જોતજોતામાં મામલો બિચક્યો હતો અને ટોળાએ હથિયારો સાથે મકાનો પર હુમલો કર્યો હતો. તોફાની તત્વોએ મકાનના દરવાજા અને બારીઓના કાચની ભારે તોડફોડ કરી મોટું નુકસાન પહોંચાડ્યું હતું.
