ગંભીરા નદીમાં બોટ પલટી જવાની ગંભીર ઘટના બાદ હવે વહીવટી તંત્ર પોતાની જવાબદારીમાંથી છટકવાનો પ્રયાસ કરી રહ્યું હોવાનું સામે આવ્યું છે. આ અકસ્માત બાદ અસરગ્રસ્તોને મદદ કરવા અથવા કડક કાર્યવાહી કરવાને બદલે આંકલાવ અને પાદરા તાલુકાનું વહીવટી તંત્ર સીમાડાના વિવાદમાં ઊતર્યું છે. આંકલાવ મામલતદારે એવો દાવો કર્યો છે કે બોટ પલટી જવાની ઘટના મુજપુર તરફ બની છે, જ્યારે સામી બાજુ પાદરા મામલતદારે આ ઘટના આંકલાવના ગંભીરા કિનારે બની હોવાનું જણાવી પોતાની જવાબદારી ખંખેરી નાખી છે.

દુર્ઘટનાના સ્થળ મામલે ખેંચતાણ

જ્યારે નદીના વહેણમાં લોકોના જીવ જોખમમાં મૂકાયા હોય ત્યારે અધિકારીઓ વચ્ચે ચાલી રહેલી આ 'ખો'ની રમત અત્યંત શરમજનક સાબિત થઈ રહી છે. બન્ને તાલુકાના મામલતદારો હદનું બહાનું બતાવીને એકબીજા પર દોષારોપણ કરી રહ્યા છે, જેને કારણે જરૂરી કાયદાકીય તપાસ અને કાર્યવાહીમાં વિલંબ થઈ રહ્યો છે. તંત્રની આ બિનજવાબદાર નીતિને કારણે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને સવાલ ઉઠી રહ્યો છે કે શું સરકારી બાબુઓ માટે નિયમો અને હદ માનવ જિંદગી કરતા પણ વધુ મહત્વના છે?