અરવલ્લી જિલ્લાના મેઘરજ પંથકમાં પંચાલ રોડ પર આવેલી અરવલ્લી સોસાયટીની પાછળના ડુંગરાળ વિસ્તારમાં આજે અચાનક આગ ફાટી નીકળી હતી. સૂકા ઘાસ અને ઝાડી-ઝાંખરાને કારણે આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા ડુંગર પરની હરિયાળી વનરાજી બળીને ખાખ થઈ ગઈ હતી.
વન વિભાગની સમયસરની કામગીરી
ડુંગર પર આગ લાગી હોવાની જાણ સ્થાનિક લોકોએ તાત્કાલિક વન વિભાગને કરી હતી. ઘટનાની ગંભીરતા સમજીને વન વિભાગના કર્મચારીઓનો કાફલો તાત્કાલિક સ્થળ પર દોડી ગયો હતો. ડુંગરાળ વિસ્તાર હોવાને કારણે આગ ઓલવવામાં મુશ્કેલી પડી રહી હતી, તેમ છતાં વનકર્મીઓએ ભારે જહેમત ઉઠાવીને આગને વધુ ફેલાતી અટકાવી હતી અને આખરે તેના પર કાબૂ મેળવ્યો હતો.










