સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં રહેતા એક્સ આર્મી મેન દ્વારા જીવન જરૂરી વસ્તુઓ લેવા માટે ગાંધીનગર અને અમદાવાદ સુધી જવું પડતું હોવાની રજૂઆત સાંસદ શોભનાબેન બારૈયા સમક્ષ કરવામાં આવી હતી. સાંસદે આ મુદ્દાને પ્રાથમિકતા આપી ભારતના રક્ષા મંત્રી રાજનાથ સિંહ સમક્ષ મજબૂત રજૂઆત કરી હતી.જેના પરિણામે રક્ષા મંત્રાલય હેઠળના Canteen Stores Department દ્વારા હિંમતનગર ખાતે એક્સ સર્વિસમેન કેન્ટીન શરૂ કરવા માટે સિદ્ધાંતક મંજૂરી આપવામાં આવી છે.

25 હજારથી વધુ માજી સૈનિકોને લાભ મળશે

આ નિર્ણયથી સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના અંદાજે 25 હજારથી વધુ માજી સૈનિકો અને તેમના પરિવારજનોને સીધો લાભ મળશે. હવે ભૂતપૂર્વ સૈનિકોને જીવન જરૂરી વસ્તુઓ લેવા માટે દૂર શહેરોમાં જવાની જરૂર નહીં રહે અને પોતાના વિસ્તારમાં હિંમતનગર ખાતે યોગ્ય દરે સામાન ઉપલબ્ધ થશે.સાંસદએ જણાવ્યું કે આ નિર્ણય ભૂતપૂર્વ સૈનિકોના સન્માન, સુવિધા અને કલ્યાણ માટે મહત્વપૂર્ણ પગલું સાબિત થશે અને સરકાર હંમેશા સૈનિકો તથા તેમના પરિવારજનોના કલ્યાણ માટે પ્રતિબદ્ધ છે.સાંસદની રજુઆતને ધ્યાને લઈને હિંમતનગર ખાતે એક્સ-સર્વિસમેન કેન્ટીન શરૂ કરવા માટે સિદ્ધાંતક મંજૂરી આપવા બદલ સાંસદએ રક્ષા મંત્રી રાજનાથ સિંહને રૂબરૂ મળી એમનો આભાર વ્યક્ત કર્યો હતો