પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી પંથકમાંથી એક અત્યંત હૃદયદ્રાવક અને અરેરાટીભરી ઘટના સામે આવી છે. અંબાજી નજીક આવેલા રિછડી તળાવમાં ન્હાવા પડેલા ત્રણ માસૂમ બાળકોના પાણીમાં ડૂબી જવાથી કરૂણ મોત નિપજ્યા છે. ઉનાળુ વેકેશનના ખુશીના માહોલ વચ્ચે એકસાથે ત્રણ-ત્રણ વહાલસોયા બાળકોના મોત થતાં પરિવારો પર આભ તૂટી પડ્યું છે અને સમગ્ર પંથકમાં ભારે સનાટો છવાઈ ગયો છે.
10 વર્ષથી ઓછી ઉંમરના બાળકો કાળનો કોળિયો બન્યા
ઘટનાની મળતી માહિતી અનુસાર, વેકેશનનો માહોલ હોવાથી બાળકો બપોરના સમયે રમતા-રમતા રિછડી તળાવ કિનારે પહોંચ્યા હતા અને પાણીમાં ન્હાવા માટે પડ્યા હતા. જોકે, તળાવના ઊંડા પાણીનો અંદાજ ન આવતા ત્રણેય માસૂમ બાળકો એકપછી એક પાણીમાં ડૂબવા લાગ્યા હતા. કાળનો કોળિયો બનેલા આ ત્રણેય માસૂમ બાળકોની ઉંમર 10 વર્ષથી પણ ઓછી હોવાનું જાણવા મળ્યું છે.
મૃતકોમાં બે સગા ભાઈઓ, પરિવારોમાં આક્રંદ
આ દૂર્ઘટનામાં જીવ ગુમાવનારા બાળકોની ઓળખ સામે આવી છે, જેમાં સતુભાઈ રાઠોડ, વિપુલભાઈ રાઠોડ અને બચુભાઈ તરાલનો સમાવેશ થાય છે.
કરૂણ આક્રંદથી વાતાવરણ ગમગીન
ચોંકાવનારી અને વધુ દુઃખદ બાબત એ છે કે, મૃતક બાળકોમાંથી સતુભાઈ રાઠોડ અને વિપુલભાઈ રાઠોડ બંને સગા ભાઈઓ હતા. એક જ ઘરના બે દીપક બુઝાઈ જતાં માતા-પિતા સહિત પરિવારજનોના કરૂણ આક્રંદથી વાતાવરણ ગમગીન બની ગયું છે.
વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો
ઘટનાની જાણ થતાં જ આસપાસના સ્થાનિક લોકો અને તરવૈયાઓ તળાવે દોડી આવ્યા હતા અને ત્રણેય બાળકોના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યા હતા. વેકેશનના સમયમાં બાળકો નદી, નાળા કે તળાવ જેવા જોખમી જળાશયો તરફ ન જાય તે માટે વાલીઓએ ખાસ તકેદારી રાખવી જરૂરી બની ગઈ છે.
આ પણ વાંચો - Banaskantha: વડગામના મુક્તેશ્વર ડેમમાં નાહવા પડેલા 2 યુવકોના ડૂબી જવાથી કરુણ મોત