ગુજરાતમાં ઓવરબ્રિજ અને અંડરબ્રિજની ગુણવત્તાને લઈને વારંવાર સવાલો ઉઠતા રહે છે, ત્યારે બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકામાંથી રેલવે વિભાગની એક એવી આઘાતજનક બેદરકારી સામે આવી છે જે નિર્દોષ નાગરિકો માટે જીવલેણ સાબિત થઈ શકે છે. અમીરગઢના સરોત્રા ગામ પાસે રેલવે લાઇન નીચેથી પસાર થતા વ્યસ્ત અંડરબ્રિજની એન્ટ્રી પર ભારે વાહનોને રોકવા માટે લોખંડના જાડા પતરા અને ગર્ડરથી 'હાઇટ ગેજ' (ઊંચાઈ માપક કમાન) બનાવવામાં આવ્યો હતો. આ હાઇટ ગેજ હાલમાં કટોકટીની સ્થિતિમાં આવી ગયો છે.


માળખાના નબળા જોઈન્ટ્સ અને બોલ્ટ ખૂલી ગયા

સ્થાનિકો દ્વારા લેવામાં આવેલી તસવીરો અને ગ્રાઉન્ડ રિપોર્ટ અનુસાર, આ હાઇટ ગેજનો જે મધ્ય ભાગ (સેન્ટર જોઈન્ટ) હોય છે, તેનું વેલ્ડિંગ દબાણ અથવા નબળી ગુણવત્તાના કારણે તૂટી ગયું છે અને તે વચ્ચેથી આખો ખુલ્લો પડી ગયો છે. એટલું જ નહીં, આ કમાનને જે બે મુખ્ય સાઇડ પિલ્લર સપોર્ટ આપી રહ્યા છે, તે પિલ્લરના ફાઉન્ડેશન બોલ્ટ અને નટ પણ વર્ષોથી મેઇન્ટેનન્સ ન થવાને કારણે ઢીલા પડીને ખૂલી ગયા છે. આના કારણે આખું લોખંડનું માળખું હવામાં એક તરફ નમી ગયું છે અને પવન અથવા સામાન્ય ધ્રુજારીના કારણે પણ તે હલી રહ્યું છે.

કોઈ મોટી હોનારત સર્જાય તો જવાબદારી કોની?

સરોત્રા રેલવે અંડરબ્રિજ એ આસપાસના ગ્રામ્ય વિસ્તારોને હાઇવે સાથે જોડતો મુખ્ય રસ્તો છે. અહીંથી સવારથી સાંજ સુધી શાળાની બસો, એમ્બ્યુલન્સ, દૂધના ટેન્કરો, બાઇક સવારો અને અસંખ્ય રાહદારીઓ સતત પસાર થતા રહે છે. વાહનચાલકો જ્યારે બ્રિજની અંદર પ્રવેશે છે ત્યારે ઉપર લટકતા આ મોતના માંચડા જેવા હાઇટ ગેજને જોઈને તેમના જીવ તાળવે ચોંટી જાય છે. અકસ્માતના ડર વચ્ચે લોકોએ વાહન સ્પીડમાં હંકારી મૂકવું પડે છે. સ્થાનિક અગ્રણીઓનો આક્ષેપ છે કે રેલવે અને ડીએફસી (DFC) ના સત્તાધીશો એસી કેબિનોમાં બેસી રહ્યા છે અને કોઈ મોટી હોનારત સર્જાયા બાદ જ જાગશે તેવી વ્યાખ્યા વટાવી રહ્યા છે. લોકોએ તાત્કાલિક આ હાઇટ ગેજને નવો લગાવવા અથવા પ્રોફેશનલ વેલ્ડિંગ કરાવી ફિક્સ કરવા ઉચ્ચ સ્તરે કડક શબ્દોમાં માંગ કરી છે.

આ પણ વાંચો: Rajkot: ભેળસેળ અટકાવવા RMC એક્શનમાં, 1 વર્ષની સ્પેશિયલ ડ્રાઇવ અને શહેરની પોતાની નવી ફૂડ લેબ મંજૂર

  • Follow us on: