પાલનપુર અમદાવાદ હાઈવે પર 20 ડિસેમ્બરે ખાનગી હોટલ પાસે પાર્લર પર ઉભેલા બે યુવકો ઉપર 20 થી 25 જેટલા લોકોએ ધોકા અને તલવાર વડે હુમલો કરી દીધો હતો. જેમાં પાલનપુર તાલુકાના ગાદલવાડા ગામના ભરતભાઈ ચૌધરીનું મોત નિપજ્યું હતું. પોલીસે આ ઘટનામાં 24 લોકો સામે ફરિયાદ નોંધી હતી અને મખ્ય આરોપી સહિત 6 લોકોની ધરપકડ કરી હતી. ત્યાર બાદ આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતાં. કોર્ટે આરોપીઓના 8 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતાં.
હોટલના પાર્લર નજીક ભરત ચૌધરીની હત્યા થઈ હતી
20 ડિસેમ્બરે પાલનપુર અમદાવાદ હાઈવે પર ખાનગી હોટલના પાર્લર નજીક ભરત ચૌધરી નામના યુવકની હત્યા થઈ હતી અને જે હત્યામાં સામેલ 6 આરોપીઓની પોલીસે ધરપકડ કરી છે. 20 ડિસેમ્બરની રાત્રે મૃતક ભરત ચૌધરી અને નીતિન ચૌધરી આ બંને યુવકો પાલનપુર અમદાવાદ હાઈવે પર ઉભા હતા જ્યાં પાછળથી 20 થી 25 લોકોના ટોળાએ બંને યુવકો પર હુમલો કરી દીધો હતો. ધોકા અને તલવાર વડે હુમલો કરી દેતા ભરત ચૌધરી અને નીતિન ચૌધરીને ગંભીર ઇજાઓ પહોંચી હતી જ્યાં સારવાર દરમિયાન ભરત ચૌધરીનું મોત થયું હતું. પોલીસે મુખ્ય આરોપી ભાર્ગવ માળી અને અન્ય 24 લોકો સામે ફરિયાદ નોંધી હતી.













