અંબાજી: સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના ભાટવાસ વિસ્તારમાં આજે એકાએક મોબાઈલ ટાવરમાં આગ લાગવાની ઘટના બનતા સમગ્ર પંથકમાં અફરાતફરી મચી ગઈ હતી. ટાવરમાં લાગેલી આગ એટલી ભીષણ હતી કે આકાશમાં કાળા ધુમાડાના ગોટેગોટા દેખાયા હતા, જેને પગલે સ્થાનિક રહીશોમાં ભયનો માહોલ ફેલાયો હતો. જોકે, ફાયર બ્રિગેડ પહોંચે તે પહેલાં જ જાગૃત નાગરિકોએ સમયસૂચકતા વાપરી આગ પર કાબૂ મેળવ્યો હતો.
ભાટવાસ વિસ્તારમાં મોબાઈલ ટાવરમાં આગ
અંબાજીના ગીચ વસ્તી ધરાવતા ભાટવાસ વિસ્તારમાં આવેલા એક મોબાઈલ/ઈલેક્ટ્રિક ટાવરમાં બપોરના સમયે અચાનક આગ ફાટી નીકળી હતી. ટાવરમાં રહેલા વાયરો અને મશીનરીમાં લાગેલી આગે જોતજોતામાં રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું. ટાવરમાંથી નીકળતી આગની જ્વાળાઓ અને ધુમાડો જોઈને આસપાસના લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા અને નાસભાગ મચી ગઈ હતી.










