વાવ થરાદ જિલ્લાના થરાદ તાલુકાના રડકા ગામ પાસેથી પસાર થતી નર્મદા મુખ્ય કેનાલમાંથી આજે સવારે એક વૃદ્ધનો મૃતદેહ તરતી હાલતમાં મળી આવ્યો હતો, જે કારણે સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. આ ઘટનાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં લોકોનું ધ્યાન ખેંચાયું હતું. સ્થાનિક તરવૈયાઓની મદદથી મૃતદેહને કેનાલમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો. તપાસ કરતાં મૃતક આશરે 60 વર્ષની ઉંમરના વૃદ્ધ હોવાનું માલૂમ પડ્યું હતું.
મૃતકની ઓળખ કરાઈ
મૃતદેહની ઓળખ મસાભાઈ વાહતાભાઈ માજીરાણા ઉંમર વર્ષ 60 તરીકે થઈ છે. મસાભાઈ માજીરાણા બે દિવસ અગાઉ ગુમ થયા હતા. તેઓ મૂળ ગોલપ, વાવના રહેવાસી છે અને હાલ થરાદમાં લખાપીર હોટલની પાછળ રહેતા હતા. સોશિયલ મીડિયા પર કેનાલમાં તરતા મૃતદેહનો વીડિયો વાયરલ થતાં પરિવારજનોને આ અંગેની જાણ થઈ અને તેઓ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. વૃદ્ધના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યો છે. થરાદ પોલીસે આ અંગે વધુ તપાસ શરૂ કરી છે, જેથી વૃદ્ધનું મૃત્યુ અકસ્માતે થયું છે કે અન્ય કોઈ કારણ છે તે જાણી શકાય.










