પોષી પૂનમ આયોજનના ભાગરૂપે અંબાજી મંદિર ટ્રસ્ટના વહીવટદાર અને અધિક કલેક્ટર કૌશિક મોદીની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ, યાત્રાળુઓને સુલભ દર્શન સુવિધા ઉપલબ્ધ કરાવવા વિશેષ પોલીસ બંદોબસ્ત, ટ્રાફિક મેનેજમેન્ટ પોલીસ વિભાગ દ્વારા કરવામાં આવશે.
યાત્રાધામ અંબાજી વિશ્વભરના શક્તિ ઉપાસકોની આસ્થાનું કેન્દ્ર છે
પોષસુદ પુનમ એટલે આદ્યશક્તિમાં જગદંબાનો પ્રાગટ્ય દિન. માતાજીનાં પ્રાગટ્ય દિન નિમિત્તે દર વર્ષે મોટી સંખ્યામાં યાત્રાળુઓ દર્શન કરી ધન્યતા અનુભવે છે. માં અંબાના પ્રાગટ્ય ઉત્સવ નિમિતે શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ અને ધાર્મિક ઉત્સવ સેવા સમિતિ, અંબાજી ધ્વારા પોષી પુનમ મહોત્સવ આયોજીત કરવામાં આવનાર છે. ગબ્બર ખાતેથી જ્યોત લાવી, શક્તિદ્વાર ખાતેથી ભવ્ય શોભાયાત્રા પ્રસ્થાન કરાવશે. પ્રાગટ્ય મહોત્સવ નિમિત્તે ૪૦ થી વધુ ઝાંખીઓ દ્વારા ભવ્ય ઉજવણી કરવામાં આવશે.
ચૌદશ અને પૂનમની રાત્રિએ ચાચર ચોકમાં સાંસ્કૃતિક કાર્યક્રમ અને ૧૦૧ યજમાનો દ્વારા મહાશક્તિ યજ્ઞ કરવામાં આવશે
૨૧૦૦ કિલો સુખડી પ્રસાદ વિતરણ કરવામાં આવશે. અંબિકા અન્નક્ષેત્ર ખાતે વિનામૂલ્યે મિષ્ટાન સહિતનું ભોજન આપવામાં આવશે. ચાચર ચોક ખાતે પ્રસાદના વધારાના કાઉન્ટર ખોલવામાં આવશે. માતાજીને શાકંભરી પૂનમ નિમિત્તે શાકભાજીનો અન્નકૂટ ધરાવવામાં આવશે. મહાશક્તિ યજ્ઞનું જીવંત પ્રસારણ કરવામાં આવશે. આ બેઠકમાં દાંતા વિભાગના નાયબ પોલીસ અધિક્ષકવી. બી. બારડ, અંબાજી મંદિરના એસ્ટેટ ઓફિસર પાયલબેન પટેલ , અંબાજી પોલીસ ઇન્સ્પેક્ટર સી. એફ . ઠાકોર, દાંતા રીડર પોલીસ ઇન્સ્પેક્ટર એલ. જી દેસાઈ, અંબાજી ધાર્મિક ઉત્સવ સમિતિના પ્રમુખ સુનિલભાઈ અગ્રવાલ તથા અન્ય અધિકારી અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા તેમ મંદિર ટ્રસ્ટ વહીવટદાર અને અધિક કલેક્ટર કૌશિક મોદીએ અખબારી યાદીમાં જણાવ્યું છે.
આ પણ વાંચો : Panchmahal News : વર્ષ 2026ના પહેલા દિવસે ઘોઘંબા તાલુકા પંચાયત કચેરીનો કરાર આધારીત કોમ્પુયટર ઓપરેટર રૂ.2 હજારની લાંચ લેતા ઝડપાયો