બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ગુલાબસિંહ રાજપૂતે તાજેતરની ચૂંટણીમાં પક્ષના નબળા પ્રદર્શન અને હારને લઈને સ્ફોટક નિવેદન આપ્યું છે. વાવ અને થરાદ સહિત જિલ્લાની બેઠકો પર થયેલી હાર માટે તેમણે પક્ષના જ નારાજ કાર્યકરો અને નેતાઓને જવાબદાર ગણાવ્યા છે.

ટિકિટ ન મળતા પક્ષ વિરોધી કામગીરીનો આરોપ

ગુલાબસિંહ રાજપૂતે સ્પષ્ટપણે સ્વીકાર્યું છે કે, જ્યાં પણ કોંગ્રેસના ઉમેદવારોની સામાન્ય માર્જિનથી હાર થઈ છે, ત્યાં કોંગ્રેસના જ લોકો જવાબદાર છે. ટિકિટ ફાળવણી સમયે જે નેતાઓને ટિકિટ ન હતી મળી, તેઓનું મનદુઃખ મતદાનના દિવસ સુધી ચાલુ રહ્યું હતું. ટિકિટ માંગનારા ઉમેદવારોએ પક્ષના સત્તાવાર ઉમેદવાર વિરૂદ્ધ કામ કર્યું હોવાનો રિપોર્ટ પણ સામે આવ્યો છે.

પંચાયતોની ચૂંટણીમાં પછડાટ બાદ સંગઠનમાં ખળભળાટ

બનાસકાંઠા, વાવ અને થરાદ વિસ્તારની મોટાભાગની તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની બેઠકો પર કોંગ્રેસનો પરાજય થયો છે. આ હાર બાદ જિલ્લા પ્રમુખે નારાજ કાર્યકરો પર હારનું ઠીકરું ફોડતા કોંગ્રેસમાં આંતરકલહ ચરમસીમાએ હોવાનું સપાટી પર આવ્યું છે. ગુલાબસિંહના નિવેદન પરથી એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે કોંગ્રેસમાં ઘરના જ લોકોએ બળવો કર્યો હોવાથી પક્ષને મોટું નુકસાન વેઠવું પડ્યું છે.


આ પણ વાંચો - Banaskantha News: દાંતામાં કમોસમી વરસાદ, વાતાવરણમાં પ્રસરી ઠંડક